રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા30 એપ્રિલ, 2025| Super Admin

હમ હમારા હક માંગતે, નહિ કિસી સે ભીખ માંગતે..! અમીરગઢના આદિવાસી પંથકમાં પાણીની મોકાણ

હમ હમારા હક માંગતે, નહિ કિસી સે ભીખ માંગતે..! અમીરગઢના આદિવાસી પંથકમાં પાણીની મોકાણ
પાણી પુરવઠા કચેરીમાં પાણી પાણીના પોકારો ગુંજી ઉઠ્યા માથે બેડાં લઈ હક માંગવા આદિવાસી સમાજ પાલનપુર દોડી આવ્યો; ગતિશીલ ગુજરાતની ગુલબાંગો વચ્ચે સરહદી બનાસકાંઠા જિલ્લા ના આદિવાસી વિસ્તારના ઉનાળા ની કાળઝાળ ગરમી વચ્ચે 10 ગામો માં પીવાના પાણીની મોકણ સર્જાતા અસરગ્રસ્ત આદિવાસી સમાજના લોકો મહિલાઓ સાથે હાથમાં બેનરો અને માટલાઓ લઈને પાલનપુરની પાણી પુરવઠા કચેરી ખાતે પહોંચ્યાં હતા. જ્યાં પાણી પાણીના પોકારો ગુંજી ઉઠ્યા હતા. ત્યારે અસરગ્રસ્તોએ  તાત્કાલિક પાણી આપવાની માંગ કરી હતી. બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળામાં પાણીની પારાયણ સર્જાઇ છે. સરકાર દ્વારા અમીરગઢ પંથકમાં અનેક ગામોમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે મોટા ટાંકા અને સંપ બનાવીને તેમાં પાણી ભરાયું છે. પરંતુ આદિવાસી વિસ્તારના અનેક ફળીયા અને વિસ્તારોમાં પાણી ન પહોંચ્યું હોવાના આક્ષેપ સાથે આજે અમીરગઢ પંથકના સુરેલા, અજાપુર મોટા, અજાપુર વોકા, રબારણ, મોડલીયા, ખજૂરીયા, આંબા પાણી, ધનપુરા, ભેદલા, કંસારા સહિતના 10 ગામોના લોકો હાથમાં પાણી આપવાના વિવિધ સ્લોગન સાથેના બેનરો અને મહિલાઓ માથે બેડાં ઉપાડીને પાણીની માંગ સાથે પાલનપુરની પાણી પુરવઠા કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં  પાણી આપવાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પોતાના હકની માંગ કરી હોવાનું ઈશ્વરભાઈ ડામોરે જણાવ્યું હતું. નલ સે જલ યોજના નામ માત્રની..! આદિવાસી વિસ્તારના લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકારે પાણી માટે મોટા ટાંકા અને સંપ બનાવ્યા છે. તેમાં પાણી પણ ભરી દેવાયું છે. પરંતુ અમારા ફળિયાઓ સુધી પાણી અપાયું નથી કે નળ કનેક્શન અપાયું નથી. જેથી પાણી માટેની સમસ્યા ઉભી થઇ છે. આ વિસ્તારોમાં નલ સે જલ યોજના ફકત નામ પૂરતી જ છે. અમારા દરેક ફળિયાઓમાં પાણી ઘર ઘર સુધી મળી રહે તે માટે આજે અમે રજુઆત કરવા પહોંચ્યા છીએ. જો અમને તાત્કાલિક પાણી નહિ મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. આદિવાસી સમાજના લોકોએ પાણી પુરવઠા અધિકારીને મળીને તાત્કાલિક પાણી પૂરું પડવાની ઉગ્ર રજુઆત કરી હોવાનું સ્થાનિક રહીશ રામાભાઈ માણસાએ જણાવ્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કરથી પાણી આપવાની ખાત્રી; અમીરગઢના મોટાભાગના આદિવાસી વિસ્તારમાં લોકો ડુંગરાળ પ્રદેશના ફળીયા વિસ્તાર માં રહેતા હોય છે. જોકે, આદિવાસી લોકોના ફળીયા દૂર દૂર હોવાથી દરેક જગ્યાએ પાણી પહોંચાડવું મુશ્કેલ હોવાનો એકરાર કરતા જે વિસ્તારમાં પાણી હાલ જઈ શકે તેમ નથી ત્યાં ટેન્કર દ્વારા પાણી આપવાની ખાત્રી પાણી પુરવઠા અધિકારી એ ખાતરી આપી હતી. તેમજ જે ગામોમાં પાણીની સમસ્યા છે. ત્યાં પોતાની ટીમ મોકલીને ગામ લોકો ને સાથે રાખીને પાણી પૂરું પાડવાની ખાતરી પાણી પુરવઠાના અધિક્ષક ઈજનેર સીરાજખાન મન્સુરીએ આપી હતી.

સંબંધિત સમાચાર