લાખણીના રામનગર વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની તંગી હતી. ગ્રામજનોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો અને ગ્રામ પંચાયતને રજૂઆતો કરવામાં આવતી હતી. ત્યારે સરપંચ સુરેશભાઈ પટેલ અને ટીમની મહેનત રંગ લાવી છે.ગામના યુવા સરપંચ સુરેશભાઈ પટેલે ચમનભાઈ માજીરાણા, નાથાભાઈ પટેલ, ભરતભાઈ ઠાકોર અને કાંતિભાઈ પરમાર સહિતની ટીમ સાથે સતત મહેનત કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવ્યો.
આગથળા પાણી પુરવઠા પ્લાન્ટમાંથી લાખણી પાણી પુરવઠા દ્વારા કનેક્શન મેળવી રામનગરમાં નર્મદાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે, જેના કારણે હવે લોકોને નિયમિત પાણી મળશે.નર્મદાનું પાણી આવતાં ગામમાં ખુશી છવાઈ ગઈ હતી. નાની બાળાઓ દ્વારા સામૈયા કરીને પુષ્પ પાંખડીથી નર્મદા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગ્રામજનોએ સરપંચ સુરેશભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમને પુષ્પહાર પહેરાવી અને મોં મીઠું કરાવી આભાર વ્યક્ત કર્યો હતો.





