કામ નહીં થતાં 5 વિસ્તારો આ વર્ષે જળમગ્ન બનશે
પ્રિ-મોન્સૂન પ્લાનિંગના મોટા દાવા કરતું પાટણ પાલિકાનું વહીવટી તંત્ર ચોમાસાના આગમન પૂર્વે જ હાંફી ગયું છે.કાગળ પર મસમોટા આયોજનો કરાયા પણ વાસ્તવમાં કામો અધૂરા હોવાથી આ વર્ષે પણ સામાન્ય વરસાદમાં રેલ્વે નાળુ, ધનાવાડા છાપરા, પદમનાભ ચોકડી, પીતાંબર તળાવ અને સુદામા ચોકડી વિસ્તાર જળબંબાકાર બનશે તેવી પુરેપુરી શકયતાઓ સેવાઈ રહી છે.પાટણ શહેરમાં પાણી ભરાવવાના મુખ્ય સ્પોટ સમાન રેલવે નાળા થી આનંદ સરોવર સુધી 540 મીટરની વરસાદી પાણીની બોક્સ લાઈન નાખવાનું આયોજન હજુ માત્ર પ્રોસેસમાં જ છે. સ્થળ પર કામ શરૂ ન થતાં આ ચોમાસે પણ અહીં ઘૂંટણસમા પાણી ભરાશે. પાલિકાએ હાઇવે પરથી લીલી વાડી, પદ્મનાભ ચોકડી થઈ ગજા સુધી પાણી નિકાલનું મોટું પ્લાનિંગ કર્યું છે, પણ ધીમી ગતિને કારણે ચોમાસા પહેલા આ ચેનલ સક્રિય થાય તેવી કોઈ શક્યતા લાગતી નથી.
શહેરીજનો માટે એકમાત્ર રાહતના સમાચાર એ છે કે ગોલ્ડન ચોકડીથી આનંદ સરોવર સુધી 1200 ડાયાની પાઇપલાઇનની કામગીરી પૂર્ણતાના આરે છે, જેથી ત્યાં પાણીનો નિકાલ થશે. પાલિકાએ વહેલી કામગીરી કરવાના બદલે છેલ્લી ઘડીએ આયોજનો હાથ ધર્યા હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે, જેથી લોકોને હાલાકી વધી જશે.
તો તંત્ર પોતાનો બચાવ કરવા ચૂંટણી આચારસંહિતા અને સરકારી ટેકનિકલ મંજૂરીઓની લાંબી વહીવટી પ્રક્રિયાના કારણે સમયસર ટેન્ડરિંગ અને કામના વર્ક ઓર્ડર આપી શકાયા નહોતા તેવું જણાવી રહી છે.તો પાઇપ લાઇનના આયોજન રિજેક્ટ કરીને બોક્સ લાઈન નો અંદાજો લીધો જેમાં છેલ્લા 30 વર્ષની સરેરાશ વરસાદી રેસીયો પાટણ શહેરમાં 706 એવરેજ ને ધ્યાને રાખીને બોક્સ લાઈનનું આયોજન નાખવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેનાથી 24 કલાકમાં પાંચેક ઇંચ વરસાદ પણ પડે તો કલાકમાં પાણીનો નિકાલ થઈ જાય તેઓ આયોજન ગોઠવાઈ છે. આચારસંહિતા અને મંજૂરી પ્રક્રિયાના કારણે કામો મોડા શરૂ થયા છે, પરંતુ અમે વૈકલ્પિક પંપ મૂકી પાણી નિકાલની પૂરતી વ્યવસ્થા કરીશું. તેવું પાટણ પાલિકાના બાંધકામ શાખાના એન્જિનિયરએ જણાવ્યું હતું.





