ડીસા તાલુકાના શેરપુરા ગામે ગત તારીખ ૨૮/૦૬/૨૦૨૬ના રોજ સામાજિક રીત-રિવાજની બાબતમાં થયેલા વિવાદમાં ચાર ઈસમો દ્વારા એક જ પરિવારના સભ્યો પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે શેરપુરા ગામના પ્રવીણકુમાર બાબુજી જાટ દ્વારા સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદી પ્રવીણકુમાર જાટના જણાવ્યા મુજબ, ગત સાંજે તેઓ પોતાના ભત્રીજા સાથે ગામના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ગામના જ રહેવાસી ભમરાજી ખીમાજી જાટ, ભરતાજી ખીમાજી જાટ, દિનેશજી ભમરાજી જાટ અને મહેશભાઈ ખેતાજી જાટ ત્યાં આવ્યા હતા. આ લોકોએ ફરિયાદીને "તમે અમારા ઘરની સગાઈ તોડી છે અને તેનો રિવાજ કેમ પૂરો કરતા નથી તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો.ઝઘડો ઉગ્ર બનતા ફરિયાદીએ પોતાના પિતા બાબુજી વીરાજી જાટ, ભાઈ ઈશ્વરજી અને ભાણેજ વિષ્ણુજીને બોલાવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીના પરિવારજનોને ગાળો આપી લાકડાના ધોકા અને લોખંડની ટોમી વડે આડેધડ માર માર્યો હતો.
જેમાં ફરિયાદીના પિતા બાબુજી અને વિષ્ણુજીને ગંભીર ઈજાઓ થતાં ડીસાની પ્રગતી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.આરોપીઓએ ઘટનાસ્થળે હાજર અન્ય ગ્રામજનો દ્વારા છોડાવ્યા બાદ પણ જતાં જતાં ફરી ક્યારેય ગામમાં દેખાશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. હાલ આ મામલે પ્રવીણકુમાર જાટે અરવિંદભાઈ જાટ સહિતના સમાજના આગેવાનો સાથે મળી શેરપુરાના ઉપરોક્ત ચાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.





