અઢારે આલમે પાઘડી પહેરાવી છે તમે સાચવો તો માથે મુકુ : ગુલાબસિંહ રાજપુત
થરાદ તાલુકાના જોંદલા, બુઢનપુર, દોલતપુરા, જાણદી, લેંડાઉ, જમડા,લોરવાડા, ભાપી, ભાપડી, વામી, ભડોદર અને સવપુરા ગામોમાં મંગળવારે થરાદ કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જંગી જનસભાઓ યોજાઇ હતી. ચૂંટણી સભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે પ્રજાજનોને જણાવ્યું હતું કે થરાદ પંથકના અઢારેય આલમ દ્વારા તેમને વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતાડવાની પાઘડી પહેરાવી છે તે પાઘડીની ઇજ્જત અને આબરૂ હવે મતદારોના હાથમાં છે. તમે પાંચ ડિસેમ્બરે કચકચાવીને જંગી મતદાન કોંગ્રેસ તરીકે કરીને તેને સાચવો એટલે હું માથે મુકું તેવું જનસભાઓમાં પંથકના મતદારોને સંબોધતાં તેમણે જણાવ્યું હતું. કોરોનાના કાળમાં જ્યારે લોકોને ઓક્સિજનની જરૂર હતી. ખાટલાઓ ન હતા,ઓક્સિજનના બાટલા મળતા ન હતા. રેમડેસીવરના ઇન્જેક્શન મળતા ન હતા. આવા કપરા પ્રસંગે પોતાના ઘરમાં દાદા અને દાદીમાંનું અવસાન થયેલું હોવા છતાં પણ પ્રજાજનોના આરોગ્યની ચિંતા કરીને ગુલાબસિંહ રાજપૂતે ખડે પગે રહીને થરાદ પંથકના પ્રજાજનોની સાચા દિલથી સેવક બનીને સેવા કરી હતી. તેનો બદલો ચૂકવવાનો અવસર હવે આપણા સૌનો છે. તેમ જણાવતા દિયોદરના રાજવી ગિરિરાજસિંહે થરાદ પંથકના પ્રજાજનોને વધુ પાંચ વરસ તમારી સેવા કરવાનો અવસર આપવા ગુલાબસિંહ રાજપૂતને જંગી બહુમતીથી ઐતિહાસિક જીત
અપાવવાની હાકલ કરી હતી.
થરાદ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને ઠેર ઠેર જન સમર્થન વિધાનસભાની થરાદ બેઠક પર પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને રોજે રોજ સવારથી સાંજ સુધી વિવિધ ગામોમાં સભાઓ કરીને જન સમર્થન મેળવી રહ્યા છે. ગુલાબસિંહ રાજપૂત ને ઠેર ઠેર ભવ્ય જન પ્રતિસાદ પણ મળી રહ્યો છે. થરાદના આ યુવા ધારાસભ્ય દ્વારા તેમને મળેલા અઢી વર્ષના સમયગાળામાં તેમની સરકાર નહીં હોવા છતાં પણ લોકોના પ્રશ્નોને સતત વાચા આપીને તેમની પડખે રહેવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવી આગામી પાંચ વર્ષ થરાદના પ્રજાજનોની સેવા કરવાનો મોકો આપવાની અપીલ કરીને પોતાને જંગી બહુમતીથી જીતાડવા માટેની હાકલ પણ કરી રહ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ યુવાનો અને વૃદ્ધો તથા મહિલાઓ દ્વારા ગુલાબસિંહ રાજપુતની સભામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને તેમને ઉમળકાભર્યો આવકાર આપવામાં આવી રહ્યો છે. ગામોમાં ચૂંટણી સભાઓ સંબોધી હતી. પોતાની સભાઓમાં થરાદ પંથકમાં બાકી રહેલા વિકાસકામોને આગળ કરી ભાજપ સરકારની કામ કરવાની નીતિઓ પર પણ પ્રહારો કરી જન સમર્થનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. થરાદના પ્રજાજનો દ્વારા તેમની પડખે રહીને તેમને આ વખતે પણ જંગી બહુમતીથી વિજયી બનાવવાનો વિશ્વાસ આપવામાં આવી રહ્યો છે.