પ્રેમીએ પ્રેમિકાના લકવાગ્રસ્ત પુત્રને પાવડાના હાથા ફટકારી મોતને ઘાટ ઉતાર્યો
પાટણના રવિયાણામાં હત્યાની ઘટના સામે આવી છે જ્યાં વિધવા મહિલા તેના પ્રેમી સાથે રહેતી હતી. પ્રેમીને પાડોશી સાથે પ્રેમિકાને આડા સંબંધ હોવાનો શક જતાં તેણે મહિલા સાથે ઝઘડો કર્યો હતો. જો કે સ્થિતિ વધુ વણસી જતાં મહિલા પર પાવડાના હાથા વડે હુમલો કરતા મહિલા ઘરેની બહાર દોડી જતાં તેના લકવાગ્રસ્ત નિસહાય પુત્રને પાવડાનો હાથો ફટકારી દેતા તેનું મોત થઈ ગયું હતું. જે બાદ મૃતદેહને ખેતરમાં નાખી પ્રેમી ભાગી ગયો હતો. આ અંગે વાગડોદ પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર મહિલાના લગ્ન કાંકરેજના થરા ગામના કરશન શ્રીમાળીના દીકરા રમેશભાઈ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન બે દીકરીઓ અને એક દીકરો છે. મહિલા પાંચ વર્ષના કિરણની આગળી પકડીને ચાલતા રોડ પર જતા સમયે અચાનક પડી જતા તેમના પુત્ર કિરણને જમણી બાજુ લકવાની અસર થઇ હતી. જેને લઈને તે ચાલી શકતો ન હતો. મહિલાના પતિ રમેશ દારુ પીવાની ટેવવાળા હોવાને લઈને અવાર નવાર ઘર કંકાસ કરતા હતા તેથી તે પિયર ચાલી ગયા હતા. જે બાદ દીકરીઓ મોટી થતાં તેઓ સાસરીમાં જઈને તેમના લગ્ન કરાવ્યા હતા. તેઓ કામ કરતાં હતા ત્યારે મજુરી કામે આવતા પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખોડાણા ગામના દિનેશ પરમાર સાથે ઓળખાણ થઇ હતી. અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ મહિલાના પતિનું મોત થઈ ગયું હતું. મહિલા અને દિનેશભાઈ બંને પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના રવિયાણા ગામે મહમદભાઈ નિઝામભાઈ દાઉવાના તબેલામાં મજુરી કામ અર્થે રહેવાનું શરુ કર્યું હતું સાથે 24 વર્ષીય દીકરો કિરણ સાથે ખેતરની ઓરડીમાં રહેતા હતા. છેલ્લા એક મહિનાથી દિનેશ તેની પ્રેમિકા પર પડોશમાં રહેતા રવિયાણા ગામના જ શખ્સ સાથે આડા સંબંધ હોવાનો ખોટો શક વહેમ રાખતો હતો જેને લઈને અવાર નવાર ઝગડો કરતો હતો. દરમિયાન દિનેશભાઈ ઓરડી પર આવેલ અને મહિલા સાથે આડા-સંબંધના શક વહેમ બાબતે ઝગડો કર્યો હતો. તેમણે મારવા જતાં તેઓ ઘર બહાર ભાગી જતાં ત્યાં સુતો લકવાગ્રસ્ત નિસહાય 24 વર્ષીય દીકરા કિરણના માથા ઉપર દિનેશભાઈએ આવીને પાવડાનો હાથો ફટકારતા તેનું મોત થઈ ગયું હતું.
18 જાન્યુઆરીના રોજ સવારે સાત વાગે મહિલા રવિયાણા ગામે દિનેશ પાસે ગયેલ હતી ત્યારે દીકરો કિરણ ક્યાં દેખાયો ન હતો જેને લઈને દિનેશને કિરણ વિષે પૂછતા જણાવ્યું હતું કે તારો દીકરો ગાંડો છે. ગમે ત્યાં ફરતો હશે. તુ તારી રીતે શોધી લેજે તેથી તેમણે શોધખોળ કરી હતી જો કે દીકરાની ભાળ મળી ન હતી. પાચ દિવસ બાદ મૃતદેહ ખેતરમાં પ્લાસ્ટીકના કોથળામાં ફીટ કરેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી મૃતકની માતાની ફરિયાદ આધારે ભાગી ગયેલા દિનેશભાઈ સામે હત્યા અને પુરાવા નાશ કરવાનો કલમ 302,201 મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.