![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/સમી-તાલુકાના-બિસ્મિલ્લાબાદ-HED.jpg)
સમી તાલુકાના બિસ્મિલ્લાબાદ ગામે “નલ સે જલ યોજના” ની વાતો પોકળ સાબિત કરતા દ્રશ્યો સજૉયા
બિસ્મિલ્લાબાદ ના ગ્રામજનોએ પાણી મામલે લોકસભા ચુંટણીનો બહિષ્કાર કરતાં બેનરો લગાવ્યાં: હાલમાં લોકસભાની ચૂંટણી ને લઇને રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારની કામગીરી તેજ બનાવવામાં આવી છે તો ચૂંટણી તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોના પ્રશ્નો અને વર્ષો જૂની માંગ પૂરી નહિ થતાં અમુક ગામો માં રાજકીય નેતાઓનો વિરોધ તો ક્યાંક ચુંટણી બહિષ્કાર નાં બેનરો લગાવવામાં આવ્યા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના બિસ્મિલ્લાબાદ ગામ ખાતે છેલ્લા ૧૫ વર્ષ થી પીવાનું પૂરતું પાણી આવતું નથી ત્યારે વર્ષો જૂની માંગ પૂરી ન કરવામાં આવતા ગામજનો દ્વારા લોકસભા ચુંટણીનો બહિષ્કાર કરવાનાં નિર્ણય સાથે ગામમાં બેનરો લગાવી પોતાનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે.
સમીના બિસ્મિલ્લાબાદ ગામે લોકસભા ચૂંટણી બહિષ્કાર ના વિવિધ જગ્યાએ બોર્ડ લગાવી વિરોધ દર્શાવતા ગામ લોકોનું કહેવું છે કે છેલ્લા ૧૫ વર્ષ થી ગામમાં પીવાનું પાણી આવતું નથી જેને લઇને ગ્રામજનોએ આવનાર લોકસભાની ચુટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.
બિસ્મિલ્લાબાદ ગામ ના મુખ્ય દ્વારે ચૂંટણી બહિષ્કાર ના બોર્ડ ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યા છે અને જ્યાં સુધી બિસ્મિલ્લાબાદ ગામ ખાતે કાયમી પીવાના પાણીની સુવિધા કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ રાજકીય પક્ષોએ કે રાજકીય નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો સાથે લખાણ જોવા મળી રહ્યા છે.તો ગામમાં મુખ્ય દ્વાર પ્રાથમિક શાળાની આગળ જ મતદાન બુથ કેન્દ્ર ની નજીક જ ચૂંટણી બહિષ્કાર ના બેનરો લગાવી ગ્રામજનો દ્વારા રોષ વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ સરકારની “નલ સે જલ યોજના” ની વાતો બિસ્મિલ્લાબાદ ગામના લોકો માટે પોકળ સાબિત કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
બિસ્મિલ્લાબાદ ગામના મણાભાઈ નામના વ્યકિતએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે જ્યારે કોઈ ચુંટણી આવે ત્યારે રાજકીય નેતાઓ આવે છે અને ત્યારે અમે ગામલોકો પાણીનો પ્રશ્ન કરીએ છીએ પરંતુ એવા સમય તો કામ કરવામાં આવશે યોગ્ય વ્યવસ્થા થઈ જશે એમ કહેવામાં આવે છે પરંતુ છેલ્લા ૧૫ વષૅ થી વાતો જ કરવામાં આવી છે ગામમાં પાણી ના પ્રશ્ન હલ કરવા માટે આજદિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી કે પાણી પણ આજદિન સુધી ગામમાં પહોચ્યું નથી લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે જ્યાં ત્યાંથી પાણી ભરી લાવે છે.ત્યારે તંત્ર ની લાપરવાહી અને રાજકીય પક્ષો એ કરેલા વાયદા પોકળ સાબિત થયા છે અને નલ સે યોજના ની વાત પોકળ પુરવાર થઇ રહી છે તેવું લાગી રહ્યું છે.જો પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવે તો સમસ્ત ગ્રામજનો વોટિંગ કરવા તૈયાર છે પરંતુ પીવાના પાણીની સમસ્યા દૂર નહિ થાય તો ચુંટણી બહિષ્કાર કરીશું તેવું બિસ્મિલ્લાબાદ ગામનાં ઉપરોક્ત આગેવાને જણાવી પોતાનો રોષ વ્યકત કર્યો છે.