રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા30 માર્ચ, 2026| Super Admin

ડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી

ડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી

વી.જે. પટેલ માર્કેટના સેંકડો વેપારીઓએ રેલી યોજી આવેદન આપ્યું

‘પાલનપુર હાઈવે પર જગ્યા આપો અથવા આંદોલન માટે તૈયાર રહો’ ની ચીમકી

ડીસાના વ્યાપારી આલમમાં અત્યારે નવા શાક માર્કેટના સ્થળાંતરને લઈને ભારે વિવાદ વકર્યો છે. વહીવટી તંત્ર દ્વારા કાંટ રોડ પર નવું શાક માર્કેટ બનાવવાની હિલચાલ તેજ કરવામાં આવતા, છેલ્લા બે દાયકાથી કાર્યરત વી.જે. પટેલ શાક માર્કેટના વેપારીઓએ રણશિંગુ ફૂંક્યું છે. મોટી સંખ્યામાં વેપારીઓએ એકજૂથ થઈ માર્કેટયાર્ડ ખાતે વિરોધ પ્રદર્શન કરી સેક્રેટરીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ​વેપારી એસોસિએશનના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા ૨૨ વર્ષથી વી.જે. પટેલ શાક માર્કેટમાં વ્યાપાર કરી રહ્યા છે. શૂન્યમાંથી સર્જન કરી હવે જ્યારે વેપાર સ્થિર થયો છે, ત્યારે અચાનક માર્કેટને અન્યત્ર ખસેડવાનો નિર્ણય વેપારીઓ માટે મરણતોલ ફટકો સમાન છે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે આ નિર્ણય લેતા પહેલા તેમના હિતનો જરા પણ વિચાર કરવામાં આવ્યો નથી  કાંટ રોડ પર સૂચિત માર્કેટની જગ્યા ભૌગોલિક રીતે દુર્ગમ છે અને વેપારના દૃષ્ટિકોણથી બિલકુલ યોગ્ય નથી.વેપારીઓની સ્પષ્ટ માંગ છે કે જો સ્થળાંતર અનિવાર્ય હોય, તો તેમને પાલનપુર હાઈવે પર જગ્યા ફાળવવામાં આવે. ત્યાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સારી હોવાથી ખેડૂતો અને વેપારીઓ બંનેને ફાયદો થઈ શકે તેમ છે.અચાનક સ્થળાંતરથી સેંકડો પરિવારોના ગુજરાન પર માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.

​ડીસા શાકભાજી અને ફળફળાદી વેપારી એસોસિએશનના પ્રમુખ રૂપાજી માળી અને મહામંત્રી હક્મા જોશીની આગેવાનીમાં વેપારીઓએ હૂંકાર કર્યો છે કે વહીવટી તંત્ર જો પોતાની જીદ પર અડગ રહેશે અને પરાણે વેપારીઓને કાંટ રોડ પર ખસેડવાનો પ્રયાસ કરશે, તો આગામી દિવસોમાં સમગ્ર ડીસામાં વેપાર-ધંધા બંધ રાખી ઉગ્ર વિરોધ કરવામાં આવશે. ​હવે જોવાનું એ રહે છે કે માર્કેટયાર્ડના સત્તાધીશો અને સ્થાનિક વહીવટી તંત્ર વેપારીઓની આ વાજબી માંગ સામે નમતું જોખે છે કે પછી વિવાદ વધુ વકરે છે ?

સંબંધિત સમાચાર