બનાસકાંઠા જિલ્લાના ચર્ચિત ઓગડ દેવ દરબારના મહંત બલદેવગિરી મહારાજ મામલે વહેલી સવારથી શરૂ થયેલી પોલીસ કાર્યવાહીને અંતે મોટો વળાંક આવ્યો છે. ચૌધરી સમાજની રજૂઆત અને માંગણીઓને પગલે પોલીસે હાથ ધરેલી તપાસ બાદ મહંતની અટકાયત કરવામાં આવી હતી, જોકે જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આજે સવારે ડીસા તાલુકા પોલીસ દ્વારા મહંત બલદેવગિરી મહારાજને પૂછપરછ અર્થે ડીસા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. આ મામલે અગાઉથી જ ચાર આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી હતી.
ડીસા ડી.વાય.એસ.પી. સી.એલ. સોલંકીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, "ફરિયાદીની રજૂઆત અને પ્રાથમિક તપાસને આધારે બળદેવગિરીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ મથકે લાવીને તેમની ગહન પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછ બાદ કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જોકે તપાસ અને પૂછપરછ બાદ જામીનપાત્ર ગુનો હોવાથી જરૂરી જામીન પ્રક્રિયા (Bail Process) પૂર્ણ કરીને પોલીસે મહંતને જામીન પર મુક્ત કર્યા છે. વહેલી સવારથી જ મહંતની અટકાયતને લઈને સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી હતી, પરંતુ જામીન મળતાં હાલ પૂરતો મામલો શાંત પડ્યો છે.





