પથ્થર કલા સાથે હવે માટી કામનું કૌશલ્ય પણ આદિવાસી યુવાનો શીખશે
પર્યાવરણનું જતન થાય અને આદિવાસી યુવાનોને પરંપરાગત કલા સાથે નવા કૌશલ્ય થકી સ્વરોજગારની તકો મળે તેવા સરકારના અભિગમને સાકાર કરવાની દિશામાં યાત્રાધામ અંબાજી ખાતે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. અંબાજી સ્થિત સાપ્તિ (સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ સેન્ટર) ખાતે પથ્થર કલા અને કાર્વિંગની તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓને હવે માટીમાંથી ઈકો-ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ બનાવવાની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે.સેન્ટર ડાયરેક્ટર કુમાર ચૌહાણના માર્ગદર્શન હેઠળ આયોજિત માટી કામ તાલીમ વર્કશોપનો હેતુ વિદ્યાર્થીઓને પથ્થર કલા ઉપરાંત નવા કૌશલ્યથી પરિચિત કરાવવા, તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા તેમજ ભવિષ્યમાં આ કૌશલ્યને સ્વરોજગારનું માધ્યમ બનાવવાનો છે.
કૌશલ્ય સાથે સ્વરોજગારની દિશા સાપ્તિ સેન્ટરમાં તાલીમ લઈ રહેલા આદિવાસી વિદ્યાર્થીઓ માત્ર પથ્થરમાં કોતરકામની કળા પૂરતા મર્યાદિત ન રહે, પરંતુ માટી કામ જેવા નવા કૌશલ્ય પણ શીખે તેવો વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ છે. વિદ્યાર્થીઓ પોતાના ઘરે બનાવેલી ઈકો-ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરી શકે તે સાથે ભવિષ્યમાં આવી મૂર્તિઓ તથા અન્ય કલાત્મક વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરીને આવકનું સાધન ઊભું કરી શકે તેવી શક્યતાઓ પણ ઊભી થઈ રહી છે. પથ્થરકલા સાથે માટીકામનું કૌશલ્ય જોડાતા આદિવાસી વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, કારીગરી અને સ્વરોજગારની સંભાવનાઓને નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.





