બનાવને પગલે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ
રાધનપુરના વડપાસર તળાવમાં શુક્રવારે એક જ દિવસમાં બે અલગ-અલગ ઘટનાઓમાં એક મહિલા અને એક યુવતીના મૃત્યુ થયા છે. આ ઘટનાઓને પગલે પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ વધુ તપાસ શરૂ કરી છે.
પ્રથમ ઘટનામાં, પદ્મનાથ ચોક મંદિર પાછળ આવેલા વડપાસર તળાવ માંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા વિરોધ પક્ષના નેતા જયા ઠાકોર સહિત મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકઠા થયા હતા.પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક ઓળખમાં મૃતક મહિલા રાધનપુરની સોનલનગર સોસાયટીના ગીતાબેન હસમુખભાઈ ઠક્કર હોવાનું સામે આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મૃત્યુનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરાઈ છે.આ ઘટનાના થોડા સમય બાદ જ વડપાસર તળાવમાં બીજી ઘટના બની હતી.લાલબાગ વિસ્તારની યુવતી આસ્થાબેન રસિકભાઈ રાણા તળાવમાં પડી હોવાની જાણ થતા દોડધામ મચી ગઈ હતી.રાધનપુર પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા.ગોપાલભાઈ રાણા અને તેમની ટીમે તળાવમાં ઉતરી યુવતીને બહાર કાઢી હતી.
108ની ટીમે સ્થળ પર પ્રાથમિક સારવાર આપી હતી અને યુવતીને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન આસ્થાબેન રસિકભાઈ રાણાનું પણ મૃત્યુ થયું હતું.એક જ દિવસમાં બનેલી આ બે મૃત્યુની ઘટનાઓને કારણે રાધનપુર શહેરમાં ચિંતાનો માહોલ છે. રાધનપુર પોલીસે બંને બનાવોની હકીકત અને મૃત્યુના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.





