ડીસામાં વેપારીના નાણાં ન ચૂકવનાર પાંથાવાડા ટ્રાવેલર્સને એક વર્ષની કેદ

ડીઝલ પંપથી ડીઝલ ભરાવી નાણાં પેટે આપેલો ચેક રીટર્ન થયો
ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટનો ચુકાદો: ડીસામાં એક વેપારીના ડીઝલ પંપ પરથી ડીઝલ ભરાવી પાંથાવાડાના ટ્રાવેલર્સ દ્વારા ડીઝલના નાણાં પેટે વેપારીને અપાયેલો ચેક રીટર્ન થતા ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ટ્રાવેલર્સને એક વર્ષની કેદનો હુકમ કર્યો હતો. કેસની વિગત એવી છે કે, ડીસાના રાજકમલ પાર્ક ખાતે રહેતા જતીનભાઈ ગોવિંદભાઈ ઠક્કર ઊંઝા નજીક મકતુપુર હાઇવે પર અવધૂત પેટ્રોલિયમના નામથી પેટ્રોલ અને ડીઝલનો પંપ ચલાવે છે.
જેમના પંપ પરથી પાંથાવાડાના નવદીના કુવા ગામે રહેતા અને સાનિયા ટ્રાવેલ્સ નામથી ટ્રાવેલર્સનો ધંધો કરતા રણજીતસિંહ એન. દેવડા પોતાના વાહનોમાં ડીઝલ ભરાવતા હતા.પંપ ઉપર ડીઝલનું ખાતુ હોવાથી અમુક રકમ ચુકવી આપતા હતા.જેમાં હિસાબ કરતાં જતીનભાઇને રણજીતસિંહ પાસેથી રૂા. 8,30,150/- લેવાના નીકળતા હોઈ તે રકમની ઉઘરાણી કરતાં દેનાબેંક પાંથાવાડા શાખાનો ચેક આપેલો હતો.જે ચેક જતિનભાઈએ ધી મહેસાણા અર્બન કો.ઓ. બેંક લી.ની ડીસા શાખામાં જમા કરાવતા 'એકાઉન્ટ બ્લોક'ના શેરા સાથે પરત ફર્યો હતો.જેથી તેઓએ રૂબરૂ સંપર્ક કરી ચેક રિટર્ન અંગેની જાણ કરતાં રણજીતસિંહે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરીને જણાવેલ કે 'એક રૂપિયો પણ તમોને આપીશ નહી તમારાથી જે થાય તે કરી લેજો" જેથી જતીનભાઇએ તેઓને વકીલ મારફતે નોટિસ મોકલાવેલ. જે નોટીસ માલિક લેવાની ના પાડી હોઈ પરત કરેલ તેવા શેરા સાથે નોટિસ પરત આવી હતી.
જેથી જતીનભાઈએ ડીસા કોર્ટમાં ચેક રીટર્ન અંગેનો કેસ નોંધાવ્યો હતો.જે કેસ ડીસાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ વાય. એન. પટેલે ફરિયાદી પક્ષના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી રણજીતસિંહ એન. દેવડાને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂપિયા 8,30,150 દિવસ 30 માં વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો હતો અને જો તેઓ વળતરની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ પણ કર્યો હતો.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર-અંબાજી હાઇવે પર મેરવાડા પાસે સ્કોર્પિયો ખાડામાં ખાબકી
16 કલાક પહેલા
બનાસકાંઠાવડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ
1 દિવસ પહેલા
