અમદાવાદ: 12 June 2025 ના રોજ અમદાવાદ એરપોર્ટ પર સર્જાયેલી એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ની દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ કરૂણ અકસ્માતમાં 260 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. શરૂઆતમાં આ ઘટના માટે પાઇલટની ભૂલ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ 'ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ' (FIP) દ્વારા રજૂ કરવામાં આવેલા નવા તથ્યોએ તપાસની આખી દિશા બદલી નાખી છે.
FIP, જે 5,000 થી વધુ પાઇલટ્સનું પ્રતિનિધિત્વ કરે છે, તેણે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ને લેખિતમાં જણાવ્યું છે કે આ અકસ્માત માનવીય ભૂલ નહીં પણ બોઇંગ 787-8 ડ્રીમલાઇનરની ગંભીર યાંત્રિક ખામીનું પરિણામ હતો. તપાસ મુજબ, વિમાનની બેટરીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે 'રિવર્સ વોલ્ટેજ' સર્જાયો હતો. આ ખામીને કારણે ઇંધણ નિયંત્રણ પ્રણાલી (Fuel Control System) ખોરવાઈ ગઈ હતી અને એન્જિનને મળતો બળતણનો પુરવઠો અચાનક બંધ થઈ ગયો હતો.
સીસીટીવી ફૂટેજ અને બ્લેક બોક્સની વિગતો મુજબ, ટેકઓફ દરમિયાન સવારે 08:08:43 વાગ્યે ઇંધણનો પુરવઠો આપમેળે કટ-ઓફ થયો હતો. તેના માત્ર 4 સેકન્ડ બાદ, એટલે કે 08:08:47 વાગ્યે વિમાનની ઇમરજન્સી પાવર સિસ્ટમ (RAT) સક્રિય થઈ ગઈ હતી. સામાન્ય રીતે RAT ત્યારે જ ખુલે છે જ્યારે વિમાનના તમામ મુખ્ય પાવર સોર્સ નિષ્ફળ જાય. આ આંકડા સ્પષ્ટ કરે છે કે પાઇલટ પાસે વિમાનને સંભાળવા માટે અત્યંત ઓછો સમય હતો. આ નવા ખુલાસા બાદ હવે બોઇંગ કંપનીની સેફ્ટી સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.





