અડધા કલાકના ધોધમાર વરસાદથી વાવણીને વેગ
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી સહિત સમગ્ર કાંકરેજ પંથકમાં શુક્રવારે મધરાત્રિએ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી. રાત્રે આશરે 12 વાગ્યે શરૂ થયેલો વરસાદ લગભગ અડધા કલાક સુધી વરસતા સમગ્ર વિસ્તારમાં વાવણીલાયક વરસાદ નોંધાયો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. અગાઉ થયેલા મગફળી સહિતના ખરીફ પાકોના વાવેતરને આ વરસાદથી નવજીવન મળ્યું છે, જ્યારે હજુ વાવેતર બાકી રાખનારા ખેડૂતો માટે પણ હવે વાવણીનો માર્ગ મોકળો બન્યો છે.
વરસાદથી ખેતરોમાં નવી આશા જાગી છે, સાથે જ પશુપાલકો અને ગ્રામજનોમાં પણ રાહતની લાગણી પ્રસરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને વરસાદના અભાવે ચિંતિત બનેલા ધરતીપુત્રો હવે ચોમાસાની ખેતીના કામમાં પરોવાઈ ગયા છે. મેઘરાજાની આ મહેરથી સમગ્ર કાંકરેજ પંથકમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.





