હારીજ-રાધનપુર હાઇવે પર આવેલી આઈટીઆઈ કોલેજ નજીક કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કાર ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.મૃતક યુવાનની ઓળખ હિમાચલ પ્રદેશના અભિષેક કિશોરભાઈ વર્મા (ઉંમર 31) તરીકે થઈ છે. તેઓ છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં રહેતા હતા અને સ્વરાજ ટ્રેક્ટર કંપનીમાં ટેરેટરી મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ પાટણ, ડીસા, રાધનપુર અને દિયોદર સેન્ટરોની જવાબદારી સંભાળતા હતા અને પાટણની વિઠ્ઠલવિલા સોસાયટીમાં રહેતા હતા.બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ અભિષેક વર્મા પોતાની 120 કારમાં રાધનપુરથી પાટણ તરફ આવી રહ્યા હતા.
તે સમયે હારીજ આઈટીઆઈ કોલેજ નજીક સામેથી આવી રહેલા ટ્રક (નંબર GJ.08 AV 6519) ના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી કારને ટક્કર મારી હતી.ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો, જેના કારણે અભિષેક વર્માનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ આસપાસથી પસાર થતા વાહનચાલકો અને લોકો ભેગા થઈ ગયા હતા અને મૃતદેહને કારમાંથી બહાર કાઢી હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ટ્રક ચાલક રાઠોડ (ઠાકોર) ભગાજી છગનજી, ગામ ઇન્દરવા, તા. ભાભર, પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. હારીજ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે ટ્રકનો માલિક પણ પોતે જ હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.





