ચાણસ્મા નજીક સેંઘા રોડ પર જોગણી માતાજી મંદિર સામે શનિવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વેગેનાર કારની ટક્કરે એક ઊંટનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે મોડી રાત્રે ચાણસ્મા થી સેંઘા તરફ જઈ રહેલી વેગેનાર કાર જોગણી માતાજીના મંદિર સામેના વળાંક પાસે પહોંચી હતી તે સમયે બાજુના ખેતર માંથી અચાનક દોડતું આવેલું ઊંટ કાર સાથે ભટકાઈ ગયું હતું.
આ અકસ્માતમાં કારના આગળના બોનેટને મોટું નુકસાન થયું હતું. અને આગળનો કાચ પણ તૂટી ગયો હતો. સદનસીબે, કાર ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે,ઊંટને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. કાર ચાલક રામભાઈ દેવીપૂજક ચાણસ્મામાં પોતાનું કામ પતાવીને ગલોલી વાસણા પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.





