બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી વર્કર બહેનોના વિવિધ પ્રશ્નોને લઈને લાંબા સમયથી ચાલી રહેલી લડત હવે વધુ ઉગ્ર બનતી જોવા મળી રહી છે. યાત્રાધામ અંબાજીમાં ભારતીય મજદૂર સંઘના બેનર હેઠળ આંગણવાડી વર્કર બહેનો, મંદિરોમાં આઉટસોર્સથી કાર્યરત કર્મચારીઓ તેમજ સફાઈ કામદારોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આંગણવાડી વર્કર બહેનોએ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે તેમની ક્ષમતા કરતાં વધુ કામગીરી સોંપવામાં આવે છે અને વારંવાર માનસિક હેરાનગતિનો સામનો કરવો પડે છે. ઉપરાંત, છેલ્લા આઠ મહિનાથી વિવિધ બિલોના ચૂકવણાં બાકી હોવાના કારણે માત્ર રૂ. 10 હજારના મહેનતાણામાં પરિવારનું ગુજરાન ચલાવવા સાથે આંગણવાડીના બાળકો પાછળ પણ ખર્ચ કરવો પડે છે.
ભારતીય મજદૂર સંઘના બનાસકાંઠા મહામંત્રી વનીતાબેન પરમારે જણાવ્યું હતું કે આંગણવાડી વર્કરોના પ્રશ્નોને લઈને નામદાર કોર્ટ દ્વારા અનુકૂળ ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં સરકાર તેનો અમલ કરતી નથી. આ ચુકાદાની તાત્કાલિક અમલવારી કરવાની માંગ સાથે જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી 17 ઓગસ્ટથી અચોક્કસ મુદતના આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
ઉત્તર ગુજરાત ભારતીય મજદૂર સંઘના પ્રભારી મહામંત્રી બાબુસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મંદિરોમાં આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓનું સંચાલન સીધું મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે તો કર્મચારીઓ તેમજ ટ્રસ્ટ બંનેને લાભ થશે. તેમણે આંગણવાડી વર્કર બહેનોને લઘુત્તમ વેતન ધારા મુજબ મહેનતાણું ચૂકવવાની પણ ઉગ્ર માંગ કરી હતી. માંગણીઓ નહીં સ્વીકારાય તો ભારતીય મજદૂર સંઘ રાજ્યવ્યાપી આંદોલન કરશે તેવી ચેતવણી પણ ઉચ્ચારી હતી.





