દાંતા તાલુકાના જીતપુર-લોટોલ ગામ નજીક આવેલ માણેકનાથ ગુફા તરફ જવાના માર્ગ પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માણેકનાથ મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલી બાઇક સ્વિફ્ટ કાર સાથે ધડાકાભેર અથડાતા બાઇક પર સવાર એક યુવક અને યુવતીના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.
અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે માંકડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવક અને યુવતીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. બનાવને પગલે સમગ્ર પંથકમાં શોક અને અરેરાટીનો માહોલ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતના ચોક્કસ કારણ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.





