![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/33-17.jpg)
મહેસાણા તાલુકાના ચલુઆ ગામના તંત્રએ લોકોનો મત જાણતા અસહમતી દર્શાવી
મહેસાણા તાલુકાના ગોઝારિયા ગામને તાલુકાનો દરજ્જો આપવા માટે તેમાં જોડાવવા સમાવેશ ગામની સમંતી મેળવવા માટે તંત્ર ગ્રામજનોનો અભિપ્રાય મેળવવામાં આવે છે.ત્યારે સૂચિત ગોઝારિયા તાલુકામાં જોડાવવા માટે આજે વધુ એક ગામના ગ્રામજનો દ્વારા અસમંતી દર્શાવીને વિરોધ નોંધાવ્યો હતો, આમ તાલુકાનો મુદ્દો હાલમાં ચર્ચાસ્પદ બન્યો છે.મહેસાણા તાલુકાના ગોઝારિયા ગામના ગ્રામજનો દ્વારા પોતાના ગામને અપાયેલા તાલુકાના દરજ્જાને છીનવી લીધા બાદ ફરથી તાલુકાનો દરજ્જો મેળવવા માટે લડત ચલાવી રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ગોઝારિયા ગામને તાલુકાનો દરજ્જો આપવા માટે વિવિધ વિભાગો દ્વારા અભિપ્રાય મંગાવ્યા છે. ત્યારે તાલુકા પંચાયત દ્વારા પણ ગોઝારિયા ને તાલુકાનો દરજ્જો આપવા માટે સભ્યોના અભિપ્રાય જાણીને હવે તેમાં સમાવેશ કરવામાં આવેલ ગામોના ગ્રામજનોના અભિપ્રાય સાથે ઠરાવ લેવામાં આવી રહ્યા છે.
મહેસાણા તાલુકાના ચલુવા ગામનો ગોઝારિયા તાલુકામાં સમાવેશ કરવામાં આવતા ગ્રામજનોના અભિપ્રાય માટે આજે પંચાયતના વહીવટદાર પૂનમબેન પટેલ, તલાટી ભાવેશભાઈ પરમાર દ્વારા વિશેષ ગ્રામસભાનું આયોજન કરીને ગ્રામજનોનો મત લેવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા ગ્રામજનોએ ગોઝારિયા તાલુકામાં જોડાવવા માટે સખત વિરોધ દર્શાવ્યો. અને તેમ છતાં પણ જો બીજા તાલુકામાં જોડવામાં આવશે તો લડત આપવામાં આવશે. તેમ ગ્રામજનોએ જણાવીને ગોઝારિયા તાલુકામાં જોડાવવા માટે અસહમતિ બતાવતો ઠરાવ કરવામાં આવ્યો હતો, આમ ગોઝારિયા તાલુકામાં જોડાવવા માટે વધુ એક ગામ દ્વારા ના પાડવામાં આવતા આગામી સમયમાં આ મુદ્દો ઉકળતો ચરૂ જોવા મળે તો નવાઈ નહી.