મતદારોને મતદાન અંગે જાગૃત કરવાના પ્રયાસોમાં જિલ્લાના સ્વસહાય જૂથોની બહેનો પણ જોડાઈ
લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં જ પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા સ્વીપ નોડલ અધિકારી અશોક ચૌધરીની અધ્યક્ષતામાં વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જિલ્લાના તમામ વર્ગો સરળતાથી મતદાન કરી શકે તે માટે હાલમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતદારોને મતદાન અંગે જાગૃત કરવાના પ્રયાસોમાં જિલ્લાના સ્વસહાય જૂથોની બહેનો પણ જોડાઈ છે.
પાટણ જિલ્લામાં સાંતલપુર ગામમાં વિશ્વકર્મા સખી મંડળ દ્વારા મતદાન જાગૃતિ શપથ ગ્રહણ, તેમજ અન્ય ગામો જેવા કે, પાટણ તાલુકાના ખાનપુરડા ગામે સ્નેહ સખી મંડળ, હારીજ તાલુકાના સરવાલ ગામે જય સગત સખી મંડળ દ્વારા મતદાન કરવા માટે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.
સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામે ચામુંડા સખીમંડળ દ્વારા મતદાન જાગૃતિ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. ચાણસ્મા તાલુકાના ગોખરવા ગામે જોગમાયા સખી મંડળ અને બ્રહ્માણી સખી મંડળ દ્વારા મતદાન કરવા માટે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. તો આ તરફ બાલીસણામાં હરસિધ્ધિ સખી મંડળ, સરસ્વતી તાલુકાના મેસર ગામે બહુચર સખી મંડળ અને જય અંબે સખી મંડળ, રાધનપુર તાલુકાના બંધવડ ગામે જય લક્ષ્મીમાં સખી મંડળ, સમી તાલુકાના અમરાપુરા ગામે જય ચામુંડા સખી મંડળ વગેરે વિવિધ સખી મંડળો દ્વારા અલગ-અલગ પ્રવૃતિઓ દ્વારા મહિલાઓને મતદાન કરવા માટે પ્રરિત કરવામાં આવી હતી.
આમ, પાટણ જિલ્લાના 47 સખી મંડળો (સ્વસહાય જૂથો)ની 379 મહિલાઓ દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની સામાન્ય ચૂંટણીમાં મતદાર જાગૃતિ માટે તથા મતદાન કરવા માટે શપથ ગ્રહણ, રેલી, રંગોળી, મીટીંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદારોને મતદાન કરવાની હાકલ કરવામાં આવી હતી. સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા અમો મતદાન કરીશું અને અમારા પરિવારજનોને પણ મતદાન કરાવીશું તેવા શપથ ગ્રહણ કરાવ્યા હતા. તથા સુત્રોચાર થકી મતદારોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.