ખેડૂતોની જમીન સંપાદનની રૂ. 8.31 લાખની રકમ નહિ ચૂકવાતાં કોટૅ ના આદેશ ને લઇ ચાણસ્મા નમૅદા નિગમની ઓફિસ સીલ કરાઈ

પાટણ
પાટણ

બહુચરાજી તાલુકાના મોઢેરા ગામના 10 ખેડૂતોની નર્મદા નહેરના રોડ માટે સંપાદિત જમીનનું રૂ. 8.31 લાખનું વળતર કોર્ટના હુકમ છતાં નહીં ચૂકવાતાં બુધવારે નર્મદા વિભાગ ચાણસ્મા કચેરીને સીલ મારી દેવામાં આવતાં સનસનાટી મચી જવા પામી હતી.

આ બાબતે મળતી માહિતી મુજબ બહુચરાજી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલના રોડ માટે મોઢેરા ગામના 10 ખેડૂતોની જમીન સંપાદિત કરાઈ હતી, જેમાં સરકારે ચૂકવેલ વળતરથી નારાજ ખેડૂતો કોર્ટમાં ગયા હતા. દરમિયાન કડી કોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી રૂ.8,31,000નું વળતર ચૂકવવા વર્ષ 2021માં આદેશ કર્યો હતો. તેમ છતાં સરદાર સરોવર નર્મદા વિભાગ નંબર ત્રણ ચાણસ્મા કચેરી દ્વારા વળતરની રકમ ચૂકવાઇ ન હતી. આથી ખેડૂતોએ કડી કોર્ટમાં દરખાસ્ત કરતાં તાજેતરમાં કોર્ટે જપ્તી વોરંટ કાઢ્યું હતું. ચાણસ્મા કોર્ટની ટીમ કચેરીમાં પહોંચતાં ફરજ પરના અધિકારીએ દસ દિવસનો સમય માગ્યો હતો, પરંતુ તેઓ વળતર ચૂકવી નહીં શકતાં બુધવારે ચાણસ્મા કોર્ટની ટીમે નર્મદા વિભાગના એક્ઝયુકિટીવ એન્જિનિયરની કચેરીને સીલ મારી દેતા સનસનાટી મચી જવા પામી હતી.

આ બાબતે નર્મદા વિભાગના અધિકારી જે.કે. વૈદ્યને પૂછતાં તેમણે જણાવ્યું કે, આમાં અમારી કચેરીનો ક્યાંય વાંક નથી. ખાસ જમીન સંપાદન અધિકારી નર્મદા યોજના એકમ-18 મહેસાણાને ગણતરી પત્રક બે વાર મોકલી આપ્યું છે અને રૂબરૂ પણ જઈ આવ્યો છું. પરંતુ હજુ સુધી એક સહીના વાંકે વળતરનો પ્રશ્ન વિલંબમાં પડ્યો છે. સહી થાય તો જ અમે નર્મદા નિગમમાં ફંડ માંગી શકીએ અને તે મંજૂર થાય તો કોર્ટમાં જમા કરાવી શકાય. ખાસ જમીન સંપાદન કચેરીના નાયબ મામલતદારનો આ અંગે ફોનથી સંપર્ક કર્યો હતો, પરંતુ રિસીવ નહીં થતાં સહી નહીં કરવાનું કારણ જાણી શકાયું નથી. જોકે હાલ કચેરીને સીલ માર્યું હોય મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.