પોલીસનો સતત ત્રાસ, ખોટા કેસ તેમજ મારપીટ કરવાના ગંભીર આક્ષેપ
ખનીજ ચોરી અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા ધમકીનો પણ દાવો
વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના માધપુરા ગામના યુવકે વહીવટી તંત્ર અને પોલીસના કથિત ત્રાસથી કંટાળીને થરાદ કલેક્ટરને ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગતો પત્ર લખતા સમગ્ર સરહદી પંથકમાં ચકચાર મચી ગઈ છે.
અરજદાર સોલંકી વિપુલકુમાર ખોડાભાઈએ સુઈગામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ સ્થાનિક કેટલાક તત્વો સામે ગંભીર આક્ષેપો કર્યા છે.અરજદારે પોતાના પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા એક વર્ષથી સુઈગામ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ. એમ. પટેલ, તેમના રાઈટર મહેશભાઈ તેમજ રૂપશીભાઈ દ્વારા તેને માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે. તેના પર દારૂના ખોટા કેસો કરવામાં આવ્યા હોવાનો તેમજ જાતિવાદી અપમાન કરી માનસિક પજવણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ તેને ટાર્ગેટ બનાવી પોલીસ સ્ટેશનમાં મારપીટ કરવામાં આવી હોવાનું અને જેના કારણે તેના કાનના પડદાને નુકસાન પહોંચ્યું હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
યુવકે વધુમાં જણાવ્યું છે કે તેના પિતા, જેઓ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તેઓ દવા આપવા પોલીસ સ્ટેશન ગયા ત્યારે તેમની સાથે પણ પી.આઈ. અને અન્ય લોકો દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું.અરજદારે પોતાના પત્રમાં સુઈગામ વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કારોબારો અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ પણ ઉઠાવ્યા છે. દૂધવા અને જલોયા વિસ્તારમાં મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી હોવાનો તેમજ રોડ કોન્ટ્રાક્ટમાં ગેરરીતિઓ ચાલતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતો સામે અવાજ ઉઠાવતા પોતાને ગામ છોડી દેવાની ધમકીઓ મળતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પત્રના અંતે અરજદારે જણાવ્યું છે કે જો તેને ન્યાય નહીં મળે અથવા ઈચ્છા મૃત્યુની મંજૂરી નહીં આપવામાં આવે તો તે સરકારી કચેરીઓ સામે અન્ન-જળનો ત્યાગ કરી ધરણા પર બેસશે. આ પત્રની નકલ રાજ્યના ગૃહમંત્રી તેમજ ડીજીપી ગાંધીનગરને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હવે વહીવટી તંત્ર આ ગંભીર આક્ષેપોની કેવી તપાસ કરે છે ? તેના પર સૌની નજર મંડાઈ છે.





