બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના મોરીખા ગામે બનેલી યુવકના મોતના બનાવ સંદર્ભે ન્યાયની માગ સાથે પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શરૂ કરાયેલા ધરણા પ્રદર્શન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યા છે. તંત્ર દ્વારા યોગ્ય હકારાત્મક વલણ ન દાખવવામાં આવતા આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
મૃતક યુવકના પરિવારજનોનો આક્ષેપ છે કે આ ઘટના સામાન્ય મોત નથી પરંતુ યુવકની નીમમતાથી હત્યા કરવામાં આવી છે. પોલીસ તપાસમાં યોગ્ય કલમો ન ઉમેરીને કેસને નબળો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અગાઉ અપાયેલી ચીમકી: આ બાબતે દસ દિવસ અગાઉ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી નિષ્પક્ષ તપાસની માગ કરવામાં આવી હતી. તેમજ જો ૧૦ દિવસમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની સ્પષ્ટ ચીમકી આપવામાં આવી હતી.
કલેક્ટર રૂબરૂ આવી વાત સાંભળે તેવી માગ: સોમવાર બપોરે ૧:૦૦ વાગ્યાથી પરિવાર અને સમાજના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા છે. તેમની મુખ્ય માગ છે કે જિલ્લા કલેક્ટર પોતે રૂબરૂ આવી તેમની રજૂઆત સાંભળે અને અગાઉ આપેલા આવેદન પર કોઈ પગલાં કેમ ન લેવાયા તેની સ્પષ્ટતા કરે.
બીજા દિવસે પણ કોઈ ઉકેલ નહીં:
મંગળવારે આંદોલનના બીજા દિવસે પીડિત પરિવારની મહિલાઓ પણ ન્યાયની માગ સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. અધિકારીઓ સાથે વિવિધ તબક્કે વાટાઘાટો થઈ હોવા છતાં, તંત્ર તરફથી કોઈ નક્કર બાંહેધરી ન મળતા સંતોષકારક સમાધાન થઈ શક્યું નથી. પીડિત પક્ષનો આરોપ છે કે જવાબદાર ન્યાયતંત્ર આ ગંભીર મુદ્દા પર આંખ આડા કાન કરી રહ્યું છે.
ઉગ્ર આંદોલનની એંધાણ:
હાલની પરિસ્થિતિને જોતાં પીડિત પરિવાર અને દલિત સમાજ પોતાની માગણીઓ પ્રત્યે મક્કમ છે. જો તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં ભરીને સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે, તો આ આંદોલન આગામી સમયમાં વધુ વિકરાળ અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. સમાજ અને પીડિત પરિવારે તંત્ર પાસે તાત્કાલિક યોગ્ય ન્યાયી કાર્યવાહી કરવાની માંગ કરી છે.





