બનાસકાંઠામાં રેત ખન માફિયાઓને છુટ્ટો દોર! ખાણ-ખનીજ વિભાગ અને પોલીસની "આંખ-કાન" બંધ, કે "ગાંધીજી"ની મહેરબાની?
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને ઓગડ તાલુકામાં બનાસ નદીના પટમાં રેત ખનન માફિયાઓનો ત્રાસ ફરી માથું ઊંચકી રહ્યો છે. ભૂતકાળમાં ફિલ્મી ઢબે પીછો કરી વાહનો ઝડપનાર ખાણ-ખનીજ વિભાગ અને પ્રાંત અધિકારી હવે જાણે "નિવૃત્તિ" પર હોય એમ લાંબા સમયથી એકપણ કેસ નોંધાયો નથી.
ગામ લોકોમાં ચર્ચા છે કે ખન માફિયાઓએ અધિકારીઓના મોં અને આંખ પર "ગાંધી છાપ બંડલ"નો પટ્ટો બાંધી દીધો છે. પરિણામે અધિકારીઓ "બેરા- બોબડા-બોદા" બની ગયા છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ના બદલે હવે "બા-જપી બનશો તો ફાયદામાં રહેશો"ની નવી ગણિત ચાલી રહી છે.ભૂતકાળમાં કંબોઈ ચાર રસ્તા પરથી ઝડપાયેલા વાહનો અને થયેલા કેસો પછી હવે સન્નાટો છે. તો શું ખરેખર બનાસકાંઠા-વાવ- થરાદમાં ખનિજ ચોરી બંધ થઈ ગઈ? કે પછી તંત્ર અને માફિયાઓ વચ્ચે "હાથ મિલાવણ" થઈ ગયા?
પ્રજા હવે પ્રાંત અધિકારી અને ડી.વાય.એસ.પી. પાસે માંગ કરી રહી છે કે તાત્કાલિક તટસ્થ તપાસ કરી રેતી-માટી માફિયાઓ અને તેમને છાવરનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. નહીંતર સરકારી તિજોરીને કરોડોનું નુકસાન અને પ્રજાની મુશ્કેલીઓ વધતી જ રહેશે. હવે જોવાનું એ છે કે ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર ઊંઘમાંથી જાગશે કે પછી માફિયાઓને આવી જ "મહેરબાની" મળતી રહેશે.





