સમી તાલુકાના જાખેલ ગામમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે.ખેતીકામ કરતા હરસુરભાઈ રાયમલભાઈ આયરના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ કુલ રૂ. 5,93,500ની મતાની ચોરી કરી છે. આ ચોરીમાં રોકડ રકમ અને સોના-ચાંદીના ઘરેણાંનો સમાવેશ થાય છે. આ અંગે સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, આ ઘટના 12 જૂન, 2026ના રોજ બની હતી. તે દિવસે સવારે હરસુરભાઈ ખેતરે ગયા હતા અને તેમના પત્ની રાજીબેન સંબંધીના ઘરે ઉનડી ગામે ગયા હતા. હરસુરભાઈ બપોરે 11:30 વાગ્યે ઘરે પરત ફર્યા હતા અને જમીને આશરે 1:00 વાગ્યે ગામમાં મસાલો ખાવા નીકળ્યા હતા. તેમણે ઘરના રૂમોને તાળું મારીને અને મુખ્ય દરવાજાનું હેન્ડલ બહારથી બંધ કરીને ગયા હતા.ગામમાં મિત્રના ઘરે બેસીને ભેંસને પાણી પીવડાવીને હરસુરભાઈ બપોરે 1:45 વાગ્યે ઘરે પરત ફર્યા ત્યારે મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો.દરવાજો અંદરથી બંધ હોવાથી હરસુરભાઈ બાજુના વાડામાંથી થઈને ઘરની પાછળની ડેલી તરફથી અંદર પ્રવેશ્યા હતા. ઘરમાં જઈને જોયું તો બંને રૂમના દરવાજાના તાળા તૂટેલા હતા. રૂમમાં સામાન અને કપડાં વેરવિખેર પડ્યા હતા, તેમજ તિજોરી અને કબાટના લોક પણ તૂટેલા હતા.
તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી થઈ હતી.ચોરાયેલા દાગીનાની ચોક્કસ વિગત પત્નીના આવ્યા બાદ જાણી શકાશે તેમ ફરિયાદીએ જણાવ્યું છે.ચોરીની જાણ થતાં હરસુરભાઈએ બૂમાબૂમ કરી હતી, જેથી આસપાસના લોકો એકઠા થયા હતા. ગામમાં તપાસ કરવા છતાં કોઈ ભાળ મળી નહોતી. આખરે, સગા-સંબંધીઓ સાથે ચર્ચા કર્યા બાદ તેમણે સમી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સમી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરએ આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





