તસ્કરો ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થતાં પોલીસે તપાસ હાથ ધરી
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આનંદનગર સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ રૂ1,90,000 ની મતાની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે.ચોરોએ કબાટનો લોક તોડી સોનાનું મંગળ સૂત્ર, સોનાની બૂંટી, ચાંદીના સિક્કા અને રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થયાં આ અંગેની રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
રાધનપુર ના આનંદનગર સોસાયટી, રાજનગરની સામે, નવનિર્માણ સ્કૂલ પાસે રહેતા ભાવિકકુમાર ગુણવંતલાલ વાડીલાલ વ્યાસ BSNL T.I.P કંપનીમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર તરીકે કાર્યરત છે.ગત 19 જૂન, 2026ના રોજ વારાહી ગૌશાળા ખાતે લોકડાયરાનું આયોજન હતું. ભાવિકકુમારને આ ડાયરાને લાઇવ કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાથી તેઓ તેમના ગ્રુપ સાથે સાંજે વારાહી ગૌશાળા ગયા હતા.ડાયરો પૂર્ણ કરી તેઓ 20 જૂન, 2026ના રોજ સવારે આશરે 4 વાગ્યે ઘરે પરત ફર્યા ત્યારે તેમના માતા-પિતા બહાર ચોગાનમાં સૂતા હતા અને મકાનનો દરવાજો ખુલ્લો હતો. પરિવાર દ્વારા રોજ દરવાજો ખાલી હળો મારવામાં આવતો હોવાથી ભૂલથી ખુલ્લો રહી ગયો હોવાનું સમજી ભાવિકકુમાર ઉપરના માળે બેડરૂમમાં સૂવા ગયા હતા. સવારે તેમના પિતાજીએ નીચેના રૂમમાં જઈને જોતાં લાકડાનો કબાટ ખુલ્લો અને તેનો લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો.
કબાટમાં રાખેલી રોકડ રકમ અને દાગીના ગાયબ હતા. અને ઘરનો અન્ય સરસામાન વેરવિખેર પડ્યો હતો. અજાણ્યા ચોર ઇસમોએ 19 જૂન, 2026ના રાત્રીના 11 વાગ્યાથી 20 જૂન, 2026ના સવારના 6 વાગ્યાના સમયગાળા દરમિયાન ઘરમાં પ્રવેશ કર્યો હતો. તેઓએ નીચેના રૂમના કબાટમાંથી આશરે 20 ગ્રામ વજનનું સોનાનું મંગળસૂત્ર (કિંમત રૂ. 1,00,000), આશરે 8 ગ્રામ વજનની સોનાની બૂંટી (કિંમત રૂ. 30,000), આશરે 150 ગ્રામ વજનના 15 નંગ ચાંદીના સિક્કા (કિંમત 30,000) અને રોકડ 40,000 મળી કુલ 1,90,000ની ચોરી કરી હતી.
આ અંગે ભાવિકકુમાર વ્યાસે રાધનપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાધનપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





