વારસાઈ જમીનની ખોટી ગણતરીથી 70થી વધુ રેશનકાર્ડ બંધ કરાયાનો ગ્રામજનોનો દાવો
રજૂઆતો છતાં ઉકેલ નહીં, ધીરજ ખૂટતાં ગ્રામજનોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં રેશનકાર્ડ બંધ થવાના મામલે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગામના અનેક રેશનકાર્ડ ધારકો દ્વારા લાંબા સમયથી અનાજ મળતું ન હોવાની ફરિયાદો થઇ રહી છૅ આ બાબત કલ્યાણપુરા ગ્રામજનોએ રાધનપુર નગરપાલિકાના વિપક્ષ નેતા અને નગરસેવક જયા ઠાકોરને ટેલિફોનિક જાણ કરી કલ્યાણપુરા ગામે બોલાવ્યા હતા. ત્યારે જયાબેન ઠાકોર કલ્યાણપુરા ગામે પહોંચ્યા હતા. ગ્રામજનો સાથે બેઠક કરી રજૂઆતો સાંભળતા અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. ગામના અરજદારોના જણાવ્યા મુજબ કલ્યાણપુરામાં આશરે 70થી વધુ રેશનકાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે અનેક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો સરકારની અનાજ સહાયથી વંચિત બન્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે કેટલાક પરિવારો પાસે પોતાની કોઈ જમીન નથી, કોઈ આવકનું સાધન નથી, તેમ છતાં તેમના રેશનકાર્ડ બંધ કરી દેવાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે કેટલાક કેસોમાં મહિલાઓના નામ તેમના પિતૃક ગામની વારસાઈ જમીનમાં નોંધાયેલા હોવાના આધારે સમગ્ર પરિવારને જમીનધારક ગણાવી રેશનકાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. હકીકતમાં તે જમીન મહિલાની વ્યક્તિગત માલિકીની નહીં પરંતુ સંયુક્ત કૌટુંબિક વારસાઈ મિલકત છે, જેમાં અનેક ભાઈ-બહેનો અને વારસદારોનો હક હોય છે. માત્ર વારસાઈ નોંધના આધારે જમીનની કુલ માલિકી ગણાવી રેશનકાર્ડ બંધ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ કેટલાક પરિવારોના નામે કલ્યાણપુરા ગામમાં બિલકુલ જમીન પણ નથી. ગ્રામ પંચાયતના દાખલાઓમાં પણ જમીન ન હોવાનું સ્પષ્ટ થતું હોવા છતાં રેશનકાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ કેટલાક પરિવારો પાસે માત્ર 2 થી 4 વિઘા જેટલી નાની ખેતીલાયક જમીન હોવા છતાં તેમનું પણ રેશનકાર્ડ બંધ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
અરજદારોનું કહેવું છે કે રેશનકાર્ડ પુનઃ શરૂ કરાવવા માટે તેઓએ અનેક વખત તાલુકા સેવા સદન મામલતદાર કચેરી અને પુરવઠા વિભાગમાં લેખિત રજૂઆતો કરી છે. જરૂરી દસ્તાવેજો, ગ્રામ પંચાયતના દાખલાઓ અને જમીન સંબંધિત પુરાવાઓ રજૂ કર્યા હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. અરજદારો હવે કચેરીઓના ધક્કા ખાઈ કંટાળી ગયા હોવાનું જણાવી રહ્યા છે.





