અદ્યતન સુવિધાઓથી સજ્જ સરકારી કન્યા શાળાની કલેક્ટરે કરી પ્રશંસા
પ્રગતિના પ્રવેશોત્સવમાં કલેક્ટર ડૉ.પ્રશાંત જીલોવાએ દીકરીઓને ઉચ્ચ ધ્યેય માટે પ્રેરિત કરી
રાજ્ય સરકારના પ્રગતિનો પ્રવેશોત્સવ, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ–2026 અંતર્ગત પાટણ જિલ્લાના કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવા (IAS) એ પાટણ શહેરની નામાંકિત શ્રીમતી કે.કે. સરકારી કન્યા વિદ્યાલય,પાટણની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે ધોરણ-9માં 190, ધોરણ-11માં 115 તેમજ શાળા છોડીને ગયેલી 57 જેટલી દીકરીઓનો પુનઃ શાળા પ્રવેશ કરાવી શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન કલેક્ટરએ દીકરીઓ સાથે આત્મીય વાર્તાલાપ કરી તેમને જીવનમાં સ્પષ્ટ ધ્યેય નક્કી કરી સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી હતી. દીકરીઓએ પોતાના ધ્યેય તરીકે IAS, IPS, CA, ડૉક્ટર તથા બ્યુટીશિયન બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે કેવી રીતે આયોજનબદ્ધ રીતે આગળ વધવું તે અંગે કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત પ્રવૃત્તિઓમાં રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવી હતી.કલેક્ટરે શાળાની મુલાકાત દરમિયાન છેલ્લા પાંચ વર્ષમાં થયેલી શાળાની નોંધપાત્ર પ્રગતિ તથા લોકસહયોગથી થયેલી શાળાની કાયાપલટની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે ડૉ. મીનાબેન ઓઝા (USA)ના આર્થિક સહયોગથી નિર્મિત નીરવ રીડિંગ લાઇબ્રેરીની મુલાકાત લઈ દીકરીઓને પુસ્તકોના વાંચન અને લાઇબ્રેરીના મહત્તમ ઉપયોગ માટે પ્રોત્સાહિત કર્યા હતા. શાળા કક્ષાએ ઉપલબ્ધ આ અદ્યતન લાઇબ્રેરીની સુવિધા જોઈ તેમણે વિશેષ રાજીપો વ્યક્ત કર્યો હતો.આ ઉપરાંત તેમણે બ્યુટી એન્ડ વેલનેસ અને હેલ્થ કેર પ્રેક્ટિકલ લેબ, કોમ્પ્યુટર લેબ, રોટરી ઉદ્યાન તથા નીરવ ફિટનેસ જિમની મુલાકાત લીધી હતી. એક સરકારી શાળામાં ઉપલબ્ધ આ ઉત્તમ અને આધુનિક સુવિધાઓની પ્રશંસા કરતાં તેમણે શાળાના ઉત્સાહી આચાર્ય ડૉ. દિનેશ પ્રજાપતિ તથા સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમના અંતે કલેક્ટરએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. દીકરીઓના ગુણવત્તાસભર શિક્ષણ તથા વ્યવસાયલક્ષી શિક્ષણ દ્વારા તેમને આત્મનિર્ભર બનાવવા માટે થઈ રહેલા પ્રયાસોને બિરદાવી તેમણે પ્રવેશોત્સવની સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ તથા કે.કે. ગર્લ્સના ભૂતપૂર્વ વિદ્યાર્થીની શ્રીમતી ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, મામલતદાર એફ.એમ. બાગબાન, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેન્દ્રભાઈ મકવાણા, નગરસેવકો,શ્રીમતી ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયના કારોબારી સભ્યો,વાલીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રીમતી કમલાબેન જેઠવાણી તથા નમ્રતાબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ સુનિલભાઈ દેસાઈએ કરી હતી.





