સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
18 કિમીના રૂટ પર નીકળશે રથયાત્રા; 226 પોલીસકર્મી, 150 હોમગાર્ડ, ડ્રોન અને ડોગ સ્ક્વોડ રહેશે તૈનાત
બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર શહેરમાં ભગવાન જગન્નાથજીની 55મી પરંપરાગત રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની પવિત્ર રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં નગરચર્યા કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિકો રથયાત્રામાં જોડાય તેવી શક્યતા હોવાથી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અષાઢી બીજની રથયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ એ સમગ્ર રૂટ પર રિહર્સલ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પોલીસ દ્વારા સંવેદનશીલ સ્થળોનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.
પોલીસ બની સજ્જ
રથયાત્રા દરમિયાન સુરક્ષા માટે 5 પીઆઈ, 5 પીએસઆઈ, 226 પોલીસકર્મીઓ તેમજ અંદાજે 150 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. ઉપરાંત ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર રૂટ પર સતત બાજ નજર રાખવામાં આવશે.





