૧૦ દિવસમાં દુકાનો ખાલી નહીં કરાય તો સીલ મારવાની ચીમકી; ચોમાસાની ઋતુમાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા
બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં આવેલું રાજીવ ગાંધી કોમ્પલેક્ષ અત્યંત જર્જરિત હાલતમાં હોવાને કારણે નગરપાલિકા દ્વારા અહીંના વેપારીઓને આખરી નોટિસ ફટકારવામાં આવી છે. પાલિકાએ કડક વલણ અપનાવતા વેપારીઓને આગામી ૧૦ દિવસની અંદર તમામ દુકાનો ખાલી કરી દેવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. જો નિયત સમય મર્યાદામાં દુકાનો ખાલી કરવામાં નહીં આવે, તો પાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને શોપિંગ સેન્ટરને સીલ મારી દેવામાં આવશે.
નગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ વેપારીઓને આ બાબતે નોટિસ આપવામાં આવી હતી અને રૂબરૂ બોલાવીને આ જર્જરિત દુકાનોનો ઉપયોગ ન કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. આમ છતાં વેપારીઓ દ્વારા પાલિકાની આ સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું ન હતું. પાલિકાએ નોટિસમાં સ્પષ્ટ કર્યું છે કે, જો આ જર્જરિત કોમ્પલેક્ષમાં કોઈ અણધારી દુર્ઘટના કે જાનહાનિ સર્જાશે, તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની નહીં પરંતુ જે-તે દુકાનદારની પોતાની રહેશે.બીજી તરફ, હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે જ પાલિકા દ્વારા દુકાનો ખાલી કરવાની આખરી નોટિસ અપાતા વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ભર ચોમાસે પોતાની દુકાનો અને માલસામાન ક્યાં ખસેડવો અને ધંધા-રોજગારનું શું કરવું ? તેને લઈને વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકાની આ ૧૦ દિવસની મુદત બાદ વેપારીઓ શું વલણ અપનાવે છે ?





