અરવલ્લીની ગિરિમાળાને હરિયાળી બનાવવા 15 દિવસમાં 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર
નવી પેઢીને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ આપવાનો સંકલ્પ : શંકરભાઈ ચૌધરી
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજી નજીક રબારીવાસ, પાંચ્છા ખાતે બનાસ ડેરીના "સીડબોલ ફોર ગ્રીન વોલ – સીઝન-6" અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બનાસ ડેરી, ગુજરાત વન વિભાગ અને હજારો સ્વયંસેવકોના સહયોગ થી આગામી 15 દિવસ દરમિયાન અરવલ્લીની ગિરિમાળાઓમાં 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરવામાં આવશે.કાર્યક્રમની શરૂઆત 'એક પેડ માં કે નામ–3.0' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણથી કરવામાં આવી હતી. ત્યારબાદ શંકરભાઈ ચૌધરીએ ડ્રોન તેમજ પર્વતીય વિસ્તારોમાં પગપાળા ફરી સીડબોલનું વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, વિવિધ ધારાસભ્યો, બનાસ ડેરીના નિયામકો, વન વિભાગના અધિકારીઓ, સહકારી આગેવાનો, સ્વયંસેવકો તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી સીડબોલ વાવેતરમાં ભાગ લીધો હતો.





