નવચંડી યજ્ઞ, શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક ઉત્સવ ઉજવાયા
પાટણના સોનીવાડામાં આવેલા હરસિધ્ધ માતાની પોળ ખાતે બિરાજમાન કુળદેવી હરસિધ્ધ માતાજીનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આનંદના ગરબા, ધ્વજારોહણ, મહાઆરતી અને હોમાત્મક નવચંડી યજ્ઞનો સમાવેશ થાય છે.મહોત્સવની શરૂઆત શુક્રવારે રાત્રે હરસિધ્ધ માતાની પોળમાં આનંદના ગરબાના આયોજન સાથે થઈ હતી. ત્યારબાદ શનિવારે સવારે મંદિરે ધ્વજારોહણ અને માતાજીની વિશેષ આરતી કરવામાં આવી હતી.આ પ્રસંગે હોમાત્મક નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો. યજ્ઞના મુખ્ય યજમાન તેમજ માતાજીની સાડી અને શણગારના દાતાએ સુંદર સેવા આપી હતી. બપોરે યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું.યજ્ઞની પૂર્ણાહુતિ બાદ માતાજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શોભાયાત્રા હરસિધ્ધ માતાના નિજ મંદિરેથી પ્રસ્થાન થઈને પાટણ શહેરના ત્રણ દરવાજા, કટકીયાવાડો,સાલવીવાડો, સરૈયાવાડો,ગોળશેરી,મુખ્ય બજાર અને હિંગળાચાચર થઈને સોનીવાડામાં આવેલા હરસિધ્ધ માતાના નિજ મંદિરે પરત ફરી હતી.આ પાટોત્સવના દર્શન અને ધાર્મિક પ્રસંગોનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.





