પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ આ વર્ષે સ્ટાફની ભરતી કર્યા વિના ચાલતી 47 કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ કડક નિર્ણયના પગલે પ્રવેશ પ્રક્રિયા હાલમાં ચાલુ થઈ ગઈ હોય કોલેજો સ્ટાફ ભરવા માટે દોડતી થઈ ગઈ છે.બીજી તરફ યુનિવર્સિટી અને સરકારના કડક નિયમોને લઈ ઉત્તર ગુજરાતમાં 19 કોલેજો આ વર્ષે બંધ થશે. જેમાં સૌથી વધુ સાબરકાંઠા અને મહેસાણામા 6 -6 કોલેજો બંધ થશે, અરવલ્લી, બનાસકાંઠામાં 3 -3 અને પાટણમાં 1 કોલેજ બંધ થશે.
યુનિવર્સિટીની SI કોલેજ સંચાલન કમિટીના અધ્યક્ષ ડૉ. કે.કે. પટેલના જણાવ્યા અનુસાર, હવેથી નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે. સ્ટાફના આધારે જ બેઠકોની મંજૂરી આપવા માટે નીચે મુજબના કડક માપદંડો નક્કી કરાયા છે 40 બેઠકો માટે કોલેજમાં માત્ર આસિસ્ટન્ટ પ્રોફેસર અને ટ્રેનિંગ ઓફિસર હોવા ફરજિયાત છે.60 બેઠકો માટે આસિસ્ટન્ટ પ્રોફેસર, ટ્રેનિંગ ઓફિસર અને ટ્યુટર આ ત્રણેય કર્મચારીઓનો સ્ટાફ ભરેલો હોવો જોઈએ.
80 બેઠકો માટે બે આસિસ્ટન્ટ પ્રોફેસર, ટ્રેનિંગ ઓફિસર અને ટ્યુટર સહિત કુલ ચાર કર્મચારીઓનો સંપૂર્ણ સ્ટાફ હશે તો જ નિયમ મુજબ બેઠકો મંજૂર કરાશે.આસિસ્ટન્ટ પ્રોફેસરની શૈક્ષણિક લાયકાત વગર આ નવા શૈક્ષણિક વર્ષમાં યુનિવર્સિટી દ્વારા પ્રવેશ માટે એક પણ બેઠક ફાળવવામાં આવશે નહીં. આવી કોલેજોનો સરકારી જીકાસ પોર્ટલમાં પણ સમાવેશ કરાશે નહીં, જેથી આ વર્ષે કોલેજો શરૂ થઈ શકશે નહીં. સ્ટાફ અને 80% બાયોમેટ્રિક હાજરીના કડક નિયમોના કારણે જ કોલેજો બંધ થઈ રહી છે. કોલેજો બંધ થવા પાછળ સરકાર અને યુનિવર્સિટીના કડક નિયમો જવાબદાર છે. હવે લાયકાત ધરાવતા પ્રોફેસરોની કાયમી ભરતી વિના નવી બેઠકો નહીં મળે. સાથે જ, સરકારે કોલેજોમાં 80 % બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરી છે, જેના વિના શિષ્યવૃત્તિ મંજૂર નહીં થાય.આમ, નિયમોનું પાલન કરવું, લાયક સ્ટાફ લાવવો અને મોંઘા પગાર ચૂકવવા આર્થિક રીતે ન પરવડતા સંચાલકો કોલેજો બંધ કરી રહ્યા છે.





