સુકાતા પાકને નવજીવન મળતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાએ મંગળવારે વહેલી સવારથી પધરામણી કરી હતી.વરસાદના આગમન સાથે જ સમગ્ર તાલુકામાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી તેમજ બફારાથી તોબા પોકારી ઊઠેલા સ્થાનિક લોકોએ મોટી રાહત મેળવી હતી.વરસાદના લાંબા વિરામ અને ભારે ઉકળાટ બાદ વરસાદ આવતા ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.સરસ્વતી તાલુકાના ગામડાઓમાં વરસાદનો લાંબો વિરામ હોવાના કારણે ખેતરોમાં વાવેલા પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી. જોકે, આ યોગ્ય સમયે પડેલા વરસાદને કારણે પાક અને બિયારણોને નવજીવન મળ્યું છે. વરસાદી છાંટા પડતાં જ ધરતીપુત્રોમાં ખુશાલીની લહેર વ્યાપી ગઈ હતી અને તેઓ ખેતીકામમાં ઉત્સાહભેર જોડાઈ ગયા હતાં.





