પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ મથકે નોંધાયેલા જમીન વિવાદ અને હત્યાના એક ગંભીર ગુનામાં ગુજરાત હાઇકોર્ટે મુખ્ય આરોપી અકબર સોલંકીને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે.અગાઉ આ આરોપીની જામીન અરજી દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધી હતી. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન સ્પષ્ટ નોંધ્યું હતું કે, સેશન્સ કોર્ટ દ્વારા અન્ય સહ-આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હોવા છતાં, આ કેસમાં જમીન વિવાદના મુખ્ય કેન્દ્રમાં આ અરજદાર હોવાથી તેમને સમાનતાના ધોરણે જામીન આપી શકાય નહીં. આથી ગુનાની ગંભીરતા અને કાવતરાના મજબૂત પુરાવાઓને ધ્યાને રાખીને અદાલતે 60 વર્ષીય વૃદ્ધ આરોપીને જેલના સળિયા પાછળ જ રાખવાનો હુકમ કર્યો છે.
અરજદાર અકબર સોલંકીના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, આરોપી છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ છે અને તેમની ઉંમર આશરે 60 વર્ષ જેટલી હોવાથી માનવતાના ધોરણે જામીન મળવા પાત્ર છે. બચાવ પક્ષે એવી પણ કેફિયત રજૂ કરી હતી કે, એફઆઈઆર મુજબ આરોપી પર માત્ર એટલો જ આરોપ છે કે તેમણે ઘટના પહેલા, ઘટના દરમિયાન અને ઘટના પછી અન્ય સહ-આરોપીઓ સાથે ફોન પર વાતચીત કરી હતી અને ગુનાના કાવતરામાં તેમની સીધી સંડોવણીનો કોઈ જ મજબૂત પ્રત્યક્ષ પુરાવો નથી.વળી, આ જ ગુનામાં મહત્વની ભૂમિકાભજવનાર અન્ય સહ-આરોપીઓને નીચલી સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવામાં આવ્યા હોવાથી, સમાનતાના ધોરણે આ અરજદારને પણ જેલમાંથી મુક્ત કરવા જોઈએ.
બીજી તરફ, સરકારી વકીલ અને ફરિયાદી પક્ષના વકીલે જામીન અરજીનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો. તેમણે અદાલત સમક્ષ પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે, જે જમીન બાબતે આ લોહિયાળ વિવાદ સર્જાયો હતો તે જમીન આ મુખ્ય અરજદાર અકબર સોલંકી અને તેમના પુત્રની સંયુક્ત માલિકીની છે, જેના કારણે તેમની પાસે આ ગુનો આચરવાનો સૌથી મજબૂત હેતુ હતો.ઘટના સમયે અરજદાર પોતે ભલે સ્થળ પર હાજર નહોતા, પરંતુ તેઓ સતત ફોન કોલ્સ દ્વારા ઘટના સ્થળે અન્ય સહ-આરોપીઓના સંપર્કમાં હતા અને પળેપળની સૂચનાઓ આપી રહ્યા હતા. ફરિયાદી પક્ષે કોર્ટને એ પણ જાણ કરી હતી કે, નીચલી કોર્ટે જે સહ-આરોપીઓને જામીન આપ્યા છે, તેની સામે હાઇકોર્ટમાં ઓલરેડી પડકાર ફેંકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આરોપી અકબર સોલંકી અને મૃતક પક્ષ વચ્ચે જમીનનો વિવાદ લાંબા સમયથી ચાલી આવતો હતો. ઘટનાના દિવસે ફરિયાદી અને મૃતક સહિતના લોકો વિવાદિત જમીનની આસપાસ કાયદેસરની ફેન્સિંગ (તારનીવાડ) કરવા માટે ગયા હતા,ત્યારે પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે ધસી આવેલા કેટલાક શખ્સો સાથે તેમની ઉગ્ર અથડામણ થઈ હતી. આ હુમલા દરમિયાન સાગરીતોએ મૃતકને બેરહેમીથી માર માર્યો હતો અને ત્યારબાદ તેની ઉપર ફોર વ્હીલર ગાડી ચઢાવી દીધી હતી, જેમાં તેનું મોત નીપજ્યું હતું. હાઇકોર્ટે તમામ દલીલોના અંતે ચુકાદો આપતા જણાવ્યું કે અગાઉ સુપ્રીમ કોર્ટે જામીન નકાર્યા બાદ કેસના સંજોગોમાં કોઈ બદલાવ આવ્યો નથી અને ગુનાના મુખ્ય સુત્રધાર હોવાના કારણે આરોપીને જામીન આપી શકાય નહીં.





