કેન્દ્રોને 30 એપ્રિલ સુધીમાં વિગતો રજૂ કરવા આદેશ કર્યો
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે અનુસ્નાતક (PG) કેન્દ્રો અંગે કડક વલણ અપનાવવામાં આવ્યું છે.યુનિવર્સિટી સંલગ્ન આર્ટ્સ,કોમર્સ, સાયન્સ અને લો કોલેજોમાં ચાલતા PG સેન્ટરોએ હવે નવા વિદ્યાર્થીઓનેપ્રવેશ આપતા પહેલા યુનિવર્સિટીની વહીવટી મંજૂરી લેવી પડશે. જો કોઈ કોલેજ મંજૂરી વગર પ્રવેશ ફાળવશે, તો તે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં, જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ મેનેજમેન્ટની રહેશે.યુનિવર્સિટીના નવા નિયમ મુજબ, કોઈપણ વિષયના અનુસ્નાતક કેન્દ્રમાં તે વિષયના ઓછામાંઓછા 2 માન્યતા પ્રાપ્ત શિક્ષકો હોવા અનિવાર્ય છે. યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે શૈક્ષણિક ગુણવત્તા જાળવવા માટે આ નિયમનું પાલન કરવું જ પડશે. જે કોલેજો પાસે પૂરતો સ્ટાફ નથી,તેમને નવા પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. આ માટે તમામ કોલેજોએ નિયત ફોર્મેટમાં સ્ટાફની માહિતી અને માન્યતા પત્રોની નકલો યુનિવર્સિટીમાં જમા કરાવવાની રહેશે. યુનિવર્સિટી દ્વારા સ્ટાફ સહિતની સુવિધાઓની ચકાસણી કર્યા બાદ PG કેન્દ્રોમાં નવા વર્ષમાં પ્રવેશ માટે મંજૂરી આપશે.
યુનિવર્સિટીએ તમામ સંલગ્ન કોલેજોને પરીપત્ર કરી આદેશ આપ્યો છે કે 30/04/2026 સુધીમાં કેન્દ્ર ની વિગતવાર માહિતી યુનિવર્સિટીના વહીવટી વિભાગને મોકલી આપે. જેમાં શિક્ષકોના નામ, માન્યતા પત્ર નંબર, નિવૃત્તિની તારીખ અને ગત વર્ષનીપ્રવેશ સંખ્યાનો સમાવેશ કરવાનો રહેશે. માહિતીની ચકાસણી કર્યા બાદ જ યુનિવર્સિટી જે-તે કેન્દ્રને નવા વર્ષ માટે પ્રવેશ ની મંજૂરી આપી કે કેમ તેનું નિર્ણય લેશે.વિદ્યાર્થીઓએ એડમિશન લેતા પહેલા ખાતરી કરી લેવી કે જે-તે કોલેજના PG સેન્ટરને યુનિવર્સિટી તરફથી ચાલુ વર્ષની મંજૂરી મળી છે કે નહીં. મંજૂરી વગરના પ્રવેશથી વિદ્યાર્થીનું વર્ષ બગડવાની શક્યતા રહેલી છે, કારણ કે યુનિવર્સિટી આવા વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારશે નહીં. કે પ્રવેશ માન્ય રાખશે નહી.





