ગાયોના મોતને પગલે માલધારી સમાજમાં રોષ સાથે આગામી ચૂંટણીમાં ભાજપના બહિષ્કારની ચીમકી
પાટણ નગરપાલિકાના ઢોર ડબ્બાની ટીમની કથિત બેદરકારીને કારણે ચાર ગાયોના મોત થયા છે.આ ઘટનાથી માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના અગ્રણીઓએ ન્યાય નહીં મળે તો આગામી નગરપાલિકા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
પાટણ શહેરમાં રખડતા ઢોરો પકડવાની ઝુંબેશ દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી હતી.માલધારી સમાજના આક્ષેપ મુજબ,જે પાંજરામાં 10 થી 11 પશુઓને રાખવાની ક્ષમતા છે, તેમાં 21 પશુઓને ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. અપૂરતી જગ્યા અને ગૂંગળામણને કારણે એક ગર્ભવતી ગાય સહિત કુલ ચાર ગાયોના મોત થયા હતા.પશુપાલકોએ પશુઓને પકડતી વખતે ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
આ ઘટના બાદ રબારી અને ભરવાડ સમાજના અગ્રણીઓએ પાટણ જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી હતી. તેમણે જવાબદાર કર્મચારીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરી છે. પશુપાલકોએ મૃત ગાયોનું વેટરનરી ડોક્ટર પાસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા અને પશુઓને પકડવાની પ્રક્રિયામાં માનવીય અભિગમ અપનાવવા પણ માંગણી કરી છે.ઘટનાની ગંભીરતા જોતા માલધારી સમાજે આગામી પાટણ નગરપાલિકાની 11 વોર્ડની ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી ભાજપને એક પણ વોટ આપવામાં આવશે નહીં. વધુમાં, રબારી-ભરવાડના વિસ્તારોમાં ભાજપના લોકોએ પ્રચાર માટે આવવું નહીં તેવા બોર્ડ પણ લગાવવામાં આવશે તેવો હુકાર પણ માલધારી સમાજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.





