રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા13 જૂન, 2025

ભુજ - બાંદ્રા ટ્રેન દરરોજ દોડાવવાની મુસાફરોની માંગ

ભુજ - બાંદ્રા ટ્રેન દરરોજ દોડાવવાની મુસાફરોની માંગ
ભાભર,દિયોદર અને ડીસા તેમજ રાધનપુર થઈ આ ટ્રેન અઠવાડિયામાં માત્ર બે દિવસ દોડે છે. રેલવે તંત્રના ઓરમાયા વલણને લઈ બનાસવાસીઓમાં રોષ,જન આંદોલનના ભણકારા બનાસકાંઠા જિલ્લાના ભાભર, દિયોદર અને ડીસા તેમજ રાધનપુર થઈ ભુજ- બાંદ્રા ટ્રેન અઠવાડિયામાં બે  વખત દોડે છે.તેને કાયમી દરરોજ દોડાવવામાં આવે તેવી મુસાફરોની ઉગ્ર માંગણી ઉઠી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વહેપારી મથક એવા ભાભર, ડીસા જેવા શહેરો આવેલા છે .આ બધા શહેરો અને તાલુકાના લોકો અમદાવાદ,નડિયાદ,બરોડા, સુરત, મુંબઈ વહેપાર અર્થે અને સામાજિક પ્રસંગોમાં મોટી સંખ્યામાં અવર જવર કરે છે. જેથી ભાભર, દિયોદર અને ડીસામાંથી પ્રાઇવેટ લકઝરી બસ ૨૫ થી ૩૦ અને એસટી બસો ૧૫ થી ૨૦ ચાલે છે. તેમાં ટ્રેનના અભાવે મુસાફરો બસોમાં મુસાફરી કરતાં જોવા મળે છે. જો ભુજ - બાંદ્રા કાયમી ટ્રેન ચાલુ થાય તો બધો જ ટ્રાફિક રેલ્વે ને મળી શકે તેમ છે તેમજ મુસાફરોને ખુબ જ સલામત મુસાફરી તથા ભાડામાં બેઉ રીતે મુસાફરોને સુવિધા મળી રહે તેમ છે.દરરોજ ટ્રેન સેવા શરૂ થવાથી મુસાફરો ટ્રેનમાં જવાનું વધુ પસંદ કરેશે પરંતુ અઠવાડિયામાં માત્ર બે દિવસ તે પણ ઓકવર્ડ સમયે ટ્રેન દોડતી હોવાથી મુસાફરો અગવડતા ભોગવીને પણ નાછુટકે લકઝરી કે બસમાં જીવના જોખમે મુસાફરી કરે છે. રેલ્વે તંત્ર દ્વારા ધ્વારા બીજા શહેરોમાં રોજ નવી ટ્રેનો જેવી કે રાજધાની એક્સપ્રેસ, વંદેભારત ,સુપરફાસ્ટ ટ્રેનો શરૂ થતી હોય તો બાન્દ્રા- ભુજ અને ભુજ- બાન્દ્રા ટ્રેનોને દરરોજ શરૂ કરવામાં કેમ હળાહળ અન્યાય કરવામાં આવી રહ્યો છે?તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. આ અંગે ડીઆરએમ ઓફિસ વેસ્ટર્ન રેલ્વે અમદાવાદમાં અનેક વખત વહેપારી એસોસિએશન, સંસદસભ્ય અને ધારાસભ્ય દ્વારા રૂબરૂ અને લેખિતમાં રજુઆતો કરવા છતાં આજ દિવસ સુધી કોઈ પરિણામ મળેલ નથી. આટલી સુવિધા આપવા માટે રેલ્વેને કયો ગ્રહ નડે છે તે જ સમજાતું નથી.તેવો રોષ મુસાફરોએ ઠાલવ્યો હતો. વધુમાં ઉપર બતાવેલ સ્ટેશનો ઉપર ઇન્ડિકેટરની પણ સુવિધાના હોઈ ટ્રેન સ્ટેશન ઉપર આવતા જ મુસાફરોને કયો કોચ ક્યાં આવશે? તેની જાણકારી ના હોઈ ટ્રેન સ્ટેશન પર આવતા તેમને આમથી તેમ આગળ પાછળ દોડા દોડી કરવી પડે છે. ત્યારે આ સુવિધા પણ દરેક સ્ટેશનો ઉપર ઉપલબ્ધ થાય તેવી મુસાફરીની માંગણી ઉઠી છે.ત્યારે રેલવે તંત્ર દ્વારા પ્રજાની કાયમી ટ્રેન દોડાવવાની માંગ નહિ સંતોષાય તો આગામી સમયે રેલ રોકો જેવા આંદોલનના ભણકારા સંભળાઈ રહ્યા છે. ટ્રેનનો સમય બદલવાની પણ માંગ; ભુજથી બાંદ્રા જતી ટ્રેન બાંદ્રા સ્ટેશન ઉપર સવારે ૧૧ વાગ્યે પહોંચે છે તેને બદલે સવારે ૭ થી ૮ વચ્ચે પહોંચે અને બાંદ્રાથી પણ સાંજે ૭ થી ૮ વાગ્યા વચ્ચે ઉપડે તો એક દિવસની અંદર મુંબઇથી કામ પતાવી મુસાફર પરત આવી શકે.તેથી ટ્રેનનો સમય પણ બદલવાની મુસાફરોની માંગ ઉઠી રહી છે. વારંવાર રજૂઆત છતાં પરીણામ ઝીરો..!! આ બાબતે કચ્છ ,પાટણ અને બનાસકાંઠાના સાંસદો અને ધારાસભ્યો દ્વારા રેલ્વે બોર્ડમાં વારંવાર રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં રેલ્વે તંત્ર પ્રજાના પ્રતિનિધિઓની ભલામણ પણ સ્વીકારતું નથી.તેવી ચર્ચાઓ મુસાફરોમાં થઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા રાધનપુર ભાભર દિયોદર ડીસા વાવ સુઈગામ અને થરાદ જેવા વિસ્તારોની પ્રજાનો પ્રાણ પ્રશ્ન સમી ભુજ બાન્દ્રા ટ્રેનોને દરરોજ શરૂ કરવાનો ઉકેલ લાવે તે જરૂરી છે. ભાભર રેલવે સ્ટેશને રિઝર્વેશન વિન્ડો ચાલુ કરવાની માંગ; આજ દિવસ સુધી ભાભર રેલ્વે સ્ટેશન ઉપર રિઝર્વેશન વિન્ડો ચાલુ થયેલ નથી.તેથી તાતકાલીક ધોરણે રિઝર્વેશન કોટા થતા વિન્ડો ચાલુ કરવા માટે ભાભર તેમજ આજુ બાજુની જનતાની પ્રબળ માંગ છે.

સંબંધિત સમાચાર