પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, સ્ફોટક વિગતો ખુલશે
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 2018 માં થયેલા કથિત MBBS ગુણ કૌભાંડમાં આખરે મહત્વની સફળતા મળી છે. સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજી રદ કર્યા બાદ મુખ્ય સુત્રધાર ડો.કનુ ચૌધરીએ પાટણ બી પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. પોલીસે ડો.કનુ ચૌધરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.જેથી સમગ્ર ઉત્તર ગુજરાતને હચમચાવતા આ કૌભાંડમાં સ્ફોટક વિગતો ખુલવાની શકયતા છે.
આ કૌભાંડમાં MBBS ના વિદ્યાર્થીઓના ગુણ સુધારવા બાબતે ગેરરીતિ થઈ હોવાનો આરોપ છે. પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે 1 ઓગસ્ટ, 2019 ના રોજ પ્રથમવાર આ અંગે રજૂઆત કરી તપાસની માંગણી કરી હતી. આ મામલે કુલ ચાર અલગ-અલગ સમિતિઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રથમ તપાસ સમિતિએ 23 માર્ચ, 2021 ના રોજ પોતાનો રિપોર્ટ સોંપી પુનઃમૂલ્યાંકનમાં ગેરરીતિ થઈ હોવાનું સ્પષ્ટ કર્યું હતું. ત્યારબાદ ગૃહ વિભાગના અગ્ર સચિવ પંકજકુમાર અને સીઆઈડી ક્રાઈમ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. હાઈકોર્ટના કડક વલણ બાદ 17 માર્ચ, 2025 ના રોજ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ
સચિવ ડો. રોહિત દેસાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં ડો.કનુ ચૌધરી સહિત છ લોકો સામે નામ જોગ ગુનો નોંધાયો હતો. પોતાની ધરપકડથી બચવા માટે ડો. કનુ ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે 8 ઓક્ટોબર, 2025 ના રોજ રદ થઈ હતી. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે પણ 16 એપ્રિલ, 2026 ના રોજ તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી અને બે સપ્તાહમાં સરન્ડર થવાનો આદેશ કર્યો હતો. કોર્ટના આદેશને પગલે ડોક્ટર કનુ ચૌધરી પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા પાટણ કોર્ટે ડો.કનુ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં, તપાસ તેજ
વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરતા આ કૌભાંડમાં પૂર્વ કુલપતિ જે.જે. વોરા સહિત અન્યની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે. મુખ્ય સૂત્રધારના પોલીસ રિમાન્ડ દરમિયાન આ ગુણ કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને અન્ય પુરાવા એકત્ર કરવા માટે પોલીસે તપાસ તેજ કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.





