આરોપીને ૧૦ વર્ષની સખત કેદ અને ભોગ બનનારને ૪ લાખનું વળતર
સગીર વયની દીકરીઓ પર થતા અત્યાચારો અને નૈતિક અધઃપતનના કિસ્સાઓ સામે અદાલતે લાલ આંખ કરી સમાજમાં એક મોટો દાખલો બેસાડ્યો છે. ધાનેરા પોલીસ મથકે નોંધાયેલા સગીરાના અપહરણ અને દુષ્કર્મના ચકચારી કેસમાં નામદાર બીજા એડિશનલ સેશન્સ જજ (ડીસા) એ. તિવારીએ મહત્વનો ચુકાદો સંભળાવી મુખ્ય આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
આ કેસની હકીકત એવી છે કે, સામરવાડા ગામેથી ફરીયાદીની સગીર વયની દીકરીને આરોપીઓ સુરેશભાઈ ઉર્ફે વેરસીભાઈ વગતાભાઈ જોગી તથા અશોકભાઈ ઉર્ફે અચો વગતાભાઈ જોગી કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું. સગીરાને શિયા ગામે લઈ જવામાં આવી હતી, જ્યાં અન્ય આરોપીઓ વગતાભાઈ રગાભાઈ જોગી તથા ઉગમબેન જોગીએ પણ આ ગુનામાં સાથ આપ્યો હતો.
આ બાબતે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા તપાસ કરનાર અધિકારીએ આરોપીઓ વિરુદ્ધ પુરતા પુરાવા મેળવીને નામદાર કોર્ટમાં આઈ.પી.સી., પોક્સો એક્ટ તેમજ એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. સ્પે. (પોક્સો) કેસ નં. ૨૨/૨૦૨૩ અંતર્ગત આ કેસ ડીસાની અદાલતમાં ચાલી જતાં, સરકારી વકીલ શ્રીમતી નિલમબેન એસ. વકીલ (બ્રહ્મભટ્ટ) એ સગીર દીકરીઓ પર થતા અત્યાચારના ગંભીર મુદ્દાને કોર્ટ સમક્ષ પ્રખરતાથી રજૂ કર્યો હતો. તેમણે સમાજમાં આવા ગુનાઓ અટકે અને ગુનેગારોમાં ભય ઊભો થાય તે હેતુથી આરોપીને વધુમાં વધુ સજા કરવા ધારદાર અને ભારપૂર્વક દલીલો કરી હતી, જેને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.નામદાર અદાલતે મુખ્ય આરોપી સુરેશભાઈ ઉર્ફે વેરસીભાઈ વગતાભાઈ જોગી ને તકસીરવાન ઠરાવી ઈ.પી.કો. કલમ ૩૭૬(૨)(એન) (દુષ્કર્મ): ૧૦ (દસ) વર્ષની સખત કેદ અને રૂ. ૧૦,૦૦૦/- નો દંડ. દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદ.
ઈ.પી.કો. કલમ ૩૬૬ (અપહરણ): ૫ (પાંચ) વર્ષની સખત કેદ અને રૂ. ૫,૦૦૦/- નો દંડ. દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદ નામદાર કોર્ટે ભોગ બનનાર સગીરાને આઘાત અને પીડાના વળતર પેટે રૂા. ૪,૦૦,૦૦૦/- (ચાર લાખ) ચૂકવવાનો પણ ઐતિહાસિક હુકમ કર્યો છે.કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે સગીર વયની બાળાઓ સાથે થતા આવા નૈતિક અધઃપતન સમાન ગુનાઓ સમાજ માટે ચિંતાજનક છે. ભવિષ્યમાં આવા ગુનાઓનું પુનરાવર્તન ન થાય અને સમાજમાં એક સચોટ સંદેશ જાય તે માટે આ પ્રકારનો કડક ચુકાદો અનિવાર્ય છે.





