શહેરના પંચમુખી હનુમાન મંદિરથી લઈ શંખેશ્વર જૈન તીર્થ સહિત વિવિધ ગુરૂ આશ્રમોમાં ભકતોએ ગુરુ પૂજન કરી આશીર્વાદ મેળવ્યાં
તા. 29 જુલાઈના રોજ પવિત્ર ગુરુપૂર્ણિમાના મહાપર્વની પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પરંપરાગત શ્રદ્ધા અને ઉત્સાહસભર માહોલમાં ગુરુ મંદિરો અને આશ્રમોમાં વિવિધ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
શંખેશ્વર જૈન તીર્થ ખાતે મુનિરાજશ્રીના દર્શનાર્થે પણ વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે નોરતા ખાતે સંતપ.પૂ.દોલતરામ મહારાજ આશ્રમ ખાતે ગુરુ દર્શન,વાગડોદ નકલંગધામ અને ચવેલીધામ શ્રીરામ અખાડા આશ્રમ ખાતે ગુરુવંદના, બાલીસણા નિષ્કલંકી નારાયણ ધામ, સિધ્ધનાથ મહાદેવ પાટણ, પાઠક સાહેબની જગ્યા, હનુમાન મંદિર કણી, અવિચલધામ ત્રિમંદિર બાલીસણા, 64 માતાનું મંદિર, નરભેરામ આશ્રમ, ડેર, જસરાજ મંદિર ગોલીવાડા, પાળેશ્વર મહાદેવ મંદિર અઘાર અને પાંચ પીપળ ધામ ખાતે આરતી અને ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
શહેરમાં ઠાકોર સમાજ દ્વારા ત્રણ રસ્તા પાસે સંત સદારામ બાપાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. જ્યારે સિદ્ધપુરમાં કબીર મંદિર ખાતે મહારાજના આશીર્વાદ મેળવવા ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ હતું. આમ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ગુરૂ ભકતો દ્વારા ભવ્ય ઉજવણી કરી ગુરૂના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.





