મામલતદારને આવેદનપત્ર આપી નકશામાં સુધારા કરવા માંગ કરાઈ
સમી તાલુકામાં ખેડૂતોની જમીનના ફેરફાર નકશા અને વાસ્તવિક કબજા વચ્ચે ભારે વિસંગતતા સર્જાતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ સરકારી ભૂલ અને વહીવટી વિસંગતતાઓના કારણે ખેડૂતોને જમીન સંબંધિત અનેક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર મુદ્દે ખેડૂતોના હક્ક અને ન્યાય માટે આપના હોદેદારોએ ખેડૂતો સાથે મળી સમી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી તાત્કાલિક સુધારા કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી.
ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, વાસ્તવિક કબજા મુજબ નકશામાં સુધારો ન થવાથી રોજિંદા વહીવટી કામો અટકી પડ્યા છે. જો ખેડૂતોના આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે.આ આવેદનપત્ર ના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સ્થાનિક હોદ્દેદારો અને સંગઠન પ્રતિનિધિઓ સાથે મોટી સંખ્યામાં એકઠાં થયેલા ખેડૂતોએ પોતાની રજૂઆતો કરી જો તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.





