રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા21 જુલાઈ, 2025| Super Admin

લાખણીમાં યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોનું મામલતદારને આવેદનપત્ર

લાખણીમાં યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોનું મામલતદારને આવેદનપત્ર
ચોમાસુ વાવણી ટાણે ખાતર ન મળતા ખેડૂતોમાં ઉગ્ર રોષ; બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં યુરિયા ખાતરની અછતના પગલે વાવેતર અને વાવણી કરેલા પાકને સમયસર ખાતર નહીં મળતા પાક નિષ્ફળ થવા થવાની ભીતી સેવાઈ રહી છે જેને લઇ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. છેલ્લા કેટલાક સમયથી લાખણી તાલુકા સંઘ દ્વારા ખાતર નહીં આપવામાં આવતા ખેડૂતોનો સંઘ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને લઈને ખેડૂતો આજે લાખણી મામલતદાર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે જિલ્લામાં આવેલા દરેક સંઘ ઉપર ખાતર વિતરણ થાય છે. જ્યારે અમારા લાખણી તાલુકામાં આવેલા સંઘમાં છેલ્લા કેટલાક સમયથી ખાતર મળતું નથી અને અમે જ્યારે ખાતર લેવા જઈએ ત્યારે બે ત્રણ દિવસમાં ખાતર આવી જાય છે તેવો માત્ર દિલાસો આપી પરત મોકલી દેવામાં આવે છે વધુમાં ખેડૂતોએ સંઘ દ્વારા ખાતર કેમ વિતરણ કરવામાં આવતું નથી? તેની સત્ય હકીકત શું છે? તે તપાસ કરી ખેડૂતો સામે મૂકવામાં આવે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ચોમાસુ પાકની વાવણી કર્યા બાદ 15 થી 20 દિવસના અંતરે યુરિયા ખાતર પાકને આપવાની જરૂરત હોય છે. જે સમય પ્રમાણે આપવામાં ન આવે તો પાકના ઉત્પાદનમાં મોટો ફરક પડી જતો હોય છે.વાવેતર કરવા પણ ઘણા ખેડૂતો ખાતર માટે ધરમધકકા ખાઈ રહ્યા છે અને ધક્કા ખાવા છતાં પણ ખાતર જોઈતા પ્રમાણમાં મળતું ન હોવાથી ખેડૂતોને પાકમાં મોટું નુકસાન જવાની ભીતી સેવાઈ રહી છે. જેથી ચિંતિત બનેલા ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી સમયસર ખાતર નહિ મળવાની સમસ્યા દૂર કરવા માંગ કરી હતી. આ કાર્યક્રમમાં ખેડૂતો સાથે લાખણી તાલુકા કોંગ્રસ પ્રમુખ જયેશભાઈ કરમટા અને  આર.કે.સોઢા સહિતના કોંગ્રેસ આગેવાનો પણ જોડાયા હતા.

સંબંધિત સમાચાર