અપહરણ, બળાત્કાર તેમજ સ્ત્રીઓ પ્રત્યેના અનૈતિક વ્યવહાર અટકાવવા સંબંધિત ગંભીર ગુનાના કેસમાં ડીસાની બીજા એડિશનલ સેશન્સ કોર્ટ (સેશન્સ જજ અંદલીપ તિવારી સાહેબની કોર્ટ) દ્વારા સમાજમાં દાખલો બેસે તેવો એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.
બનાવની વિગતવાર હકીકત મુજબ તા. ૨૨/૦૬/૨૦૧૫ ના રોજ આરોપીઓ દ્વારા કાવતરું રચી ફરિયાદી મહિલાને નાસિકથી ડીસા ખાતે 'લગ્ન કરાવવાની લાલચ' આપી લાવવામાં આવી હતી. ત્યારબાદ ડીસા તાલુકાના ઝેરડા, ઓઢવા અને ચાણસ્મા જેવા ગામોમાં મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક શોષણ/બળાત્કાર આચરવામાં આવ્યો હતો અને અન્ય વ્યક્તિને વેચાણથી લગ્ન કરાવી ગુનો આચર્યો હતો.આ અંગે સૌપ્રથમ પાટણ પોલીસ સ્ટેશનથી દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુ.ર.નં. ૨૩/૨૦૧૫ થી ગુનો ટ્રાન્સફર થયો હતો. તપાસ અધિકારીએ યોગ્ય તપાસ કરી આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા ઈ.પી.કો. કલમ ૩૬૬, ૩૭૬ તથા અનૈતિક વ્યવહાર અટકાવવા અધિનિયમની કલમ ૩, ૫, ૭ મુજબ નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેનો સેશન્સ કેસ નં. ૬૭/૨૦૧૯ અને ૬૮/૨૦૧૯ ચાલવા પર આવ્યો હતો. જેમાં આ કેસના આરોપીઓ ચેતનજી પ્રતાપજી ઠાકોર (રહે. ઓઢવા, તા. દાંતીવાડા, જી. બ.કાં.) ,શ્રવણજી બાબુજી ઠાકોર (રહે. રોબરી મોટી, તા. ડીસા, જી. બ.કાં.), પ્રધાનજી કપુરજી ઠાકોર, ભરતભાઈ વાસુભાઈ નાઈ અનેદિનેશભાઈ કેશવલાલ રાવલ (બ્રાહ્મણ) સામેલ હતા.
આ કેસ મે. બીજા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ નિલમ એસ. વકીલ (બ્રહ્મભટ્ટ) દ્વારા સમાજમાં મજબૂત દાખલો બેસાડવા અને મહિલાઓ સામેના આ પ્રકારના ગંભીર ગુનાઓ અટકાવવા માટે પુરાવાના આધારે સખતમાં સખત સજા કરવા ધારદાર દલીલો કરવામાં આવી હતી.નામદાર કોર્ટે સરકારી વકીલની દલીલો અને ગ્રાહ્ય પુરાવા ધ્યાને લઈ આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા. જેમાં મુખ્ય આરોપી ચેતનજી પ્રતાપજી ઠાકોર અને શ્રવણજી બાબુજી ઠાકોરને ઈ.પી.કો. કલમ ૩૭૬ તથા ૨૩૫ (૨) હેઠળ ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૧૦,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો વધુ ૬ (છ) માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.
આ ઉપરાંત નામદાર કોર્ટે ભોગ બનનાર મહિલા માટે 'ગુજરાત પીડિત વળતર યોજના' હેઠળ રૂ. ૪,૦૦૦,૦૦/- નું વળતર મંજૂર કરવાનો આદેશ કર્યો છે નામદાર કોર્ટના આ ચૂકાદાથી સમાજમાં સ્ત્રીઓ સામે વધતા જતા અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ આચરતા અસામાજિક તત્વોમાં કાયદાનો ડર બેસશે અને ભવિષ્યમાં આવા ગુનાઓનું પુનરાવર્તન અટકશે તેવી સરાહના થઈ રહી છે.





