ડીસાની એડિશનલ ચીફ કોર્ટના જજ શ્રી યુ. એમ. આહીર સાહેબે સોમવારે શરીર સંબંધી ગંભીર ગુનાના એક કેસમાં સમાજ માટે દાખલારૂપ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. વર્ષ ૨૦૧૮માં સાવીયાણા ગામની સીમમાં સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈ તલવાર, ધારીયા અને લોખંડની પાઈપ જેવા ઘાતક હથિયારોથી હુમલો કરનાર એક જ પરિવારના ૮ આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવી ૩ વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે.
ગત તા. ૧૨/૧૦/૨૦૧૮ના રોજ ડીસા તાલુકાના સાવીયાણા ગામની સીમમાં ફરિયાદી અને સાહેદો પોતાના ખેતરમાં મગફળી ખેડી રહ્યા હતા. તે દરમિયાન સાવીયાણા ગામના જ રહેવાસી આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતા અને ‘ભુપતજીની પત્નીને કેમ ગાળો બોલો છો?’ તેમ કહી તકરાર કરી હતી. ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા જ આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા.આરોપીઓએ ઉશ્કેરાઈને ફરિયાદી પક્ષ પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો, જેમાં સાહેદ પ્રધાનજી ખેતાજીને માથાના ભાગે ધારીયાનો ઘા ઝીંકી દઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. જ્યારે અન્ય સાહેદોને ધોકા, લોખંડની પાઈપ, તલવાર અને લાકડીઓ વડે માર મારી નાની-મોટી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ અંગે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુન્હા રજીસ્ટર નંબર ૧૪૧/૨૦૧૮ થી ગુનો નોંધાયો હતો. તપાસ કરનાર અધિકારીએ આરોપીઓ વિરૂદ્ધ પૂરતા પુરાવા મેળવી નામદાર કોર્ટમાં ઈ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૬, ૫૦૪, ૫૦૬(૨) અને ૧૧૪ મુજબનું ચાર્જશીટ દાખલ કર્યું હતું, આ કેસ ડીસાની મે. એડિશનલ ચીફ કોર્ટ સમક્ષ ચાલવા પર આવતા, સરકારી વકીલ દ્વારા ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમણે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે, સમાજમાં વધતા જતા શરીર સંબંધી ગુનાઓને અટકાવવા અને કાયદાનો ડર કાયમ રાખવા માટે આરોપીઓને કડક અને વધુમાં વધુ સજા થવી અનિવાર્ય છે. નામદાર કોર્ટે સરકારી વકીલની આ દલીલો અને રજૂ રાખેલા મજબૂત પુરાવાઓને ગ્રાહ્ય રાખ્યા હતા.
અદાલતે તમામ ૮ આરોપીઓને ગુનેગાર ઠેરવી ઈ.પી.કો. કલમ ૩૨૩ અને ૧૧૪ મુજબ: ૬ માસની કેદ અને રૂા. ૫૦૦/- નો દંડ.ઈ.પી.કો. કલમ ૩૨૬ અને ૧૧૪ (ગંભીર ઈજા) મુજબ: ૩ વર્ષની સખત કેદ અને રૂા. ૧,૦૦૦/- ના દંડની સજા ફટકારી હતી જેમાં આરોપી જશીબેન ભુપતજી ઠાકોર, હીરાબેન કંચનજી ઠાકોર, બબીબેન પરબતજી ઠાકોર, પરબતજી નાગજીજી ઠાકોર, કંચનજી ધારજીજી ઠાકોર, ભુપતજી ધારજીજી ઠાકોર, પ્રહલાદજી નાગજીજી ઠાકોર, અને અશોકજી નાગજીજી ઠાકોર (તમામ રહે. સાવીયાણા, તા. ડીસા, જી. બનાસકાંઠા
ડીસા કોર્ટ દ્વારા આપવામાં આવેલો આ ચુકાદો વર્તમાન સમયમાં ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આવા ગંભીર ગુનાઓનું પુનરાવર્તન ન થાય અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં કાયદા પ્રત્યે ભય અને આદર ઊભો થાય તે હેતુથી આ કડક સજાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ચુકાદાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવી લોકમુખે ચર્ચા છે.





