ભારતીય ઋષિમુનિઓનું જીવન દર્શન અમુલ્ય છે : રાજ્યપાલ દેવવ્રતજી
દીક્ષાંત સમારોહમાં 9 વિવિધ ફેકલ્ટીના કુલ 54346 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને શુક્રવાર ના રોજ પદવીદાન (દીક્ષાંત) સમારોહ-2026 યોજાયો હતો. આ દીક્ષાંત સમારોહમાં 9 વિવિધ ફેકલ્ટીના કુલ 54346 વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ વર્ષે પ્રથમવાર રાજ્યપાલની સહીવાળી ડિગ્રી આપવામાં આવી હતી.ઉપરાંત યુનિવર્સિટી ના151 તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલે પોતાના અધ્યક્ષીય સંબોધનમાં પાટણની ઐતિહાસિક વિધાનગરીની ઓળખ અંગે ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું કે તેઓ દેશના ભવિષ્ય છે અને આવનાર ભારતના નિર્માતા છે. આજના સમયમાં ટેક્નોલોજી અને વિજ્ઞાન ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓએ તેમાં રસ અને જિજ્ઞાસા દાખવવી જરૂરી છે. ઈસરોના વિજ્ઞાનીઓ યોગીની જેમ એકાગ્રતા અને સમર્પણથી કાર્ય કરે છે,જે વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. તેમણે વિદ્યાર્થીઓને ઈસરોની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રી દેશહિત માટે સતત કાર્યરત રહી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા સંકલ્પબદ્ધ છે, ત્યારે વિદ્યાર્થીઓએ પણ રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપવા આગળ આવવું જોઈએ તેમ રાજ્યપાલે ઉમેર્યું હતું. આ પ્રસંગે કુલપતિ પ્રો. કે.સી. પોરિયાએ સ્વાગત પ્રવચનમાં દીક્ષાંત સમારોહને ગૌરવસભર ક્ષણ ગણાવી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અને જણાવ્યું હતું કે ડિગ્રી સાથે જવાબદારી પણ વધે છે. રજીસ્ટ્રાર ઙો.આર.એન. દેસાઇએ આભાર વિધિ વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં ઇસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈ, જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી સહિત વિવિધ કોલેજોના ડીન, અધ્યાપકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





