રાધનપુરી વાસના ઘરોમાં છ મહિનાથી શુદ્ધ પાણીનો અભાવ, વોટર વર્ક્સ અને ભૂગર્ભ શાખા ગાઢ નિંદ્રામાં, કોર્પોરેટરના તંત્ર પર પ્રહાર
પાટણ શહેરના વોર્ડ નંબર ૯ માં આવેલા રાધનપુરી વાસ સહિતના વિસ્તારોમાં છેલ્લા ૬ મહિનાથી ગટર અને ગંદા પાણીની સમસ્યાએ માઝા મૂકી છે. પીવાના પાણીમાં ગટરનું પ્રદૂષિત પાણી મિશ્રિત થઈને આવતું હોવાથી સ્થાનિક રહીશોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે. નગરપાલિકાના વોટર વર્ક્સ અને ભૂગર્ભ શાખામાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રાધનપુરી વાસના રહીશે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગટરનું ગંદુ પાણી સીધું ઘરોની અંદર પ્રવેશી રહ્યું છે. છેલ્લા ૧૦ દિવસથી સતત આ અંગે ફરિયાદ નોંધાવવા છતાં હજુ સુધી નગરપાલિકાનો કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર તપાસ કરવા આવ્યો નથી. ગંદા પાણી અને અસહ્ય દુર્ગંધના કારણે ઘરમાં રહેવું કે રાત્રે ઊંઘવું પણ મુશ્કેલ બન્યું છે. ગરમીના દિવસોમાં બહાર બેસી શકાય તેવી પણ સ્થિતિ નથી, કારણ કે આખા વિસ્તારમાં ગંદકી ફેલાયેલી છે. તંત્ર વહેલી તકે સફાઈ કરાવીને ચોખ્ખાઈ કરે તેવી માગ કરી છે. તો
રાધનપુરી વાસમાં છેલ્લા ૬ મહિનાથી પીવાનું પાણી અત્યંત દૂષિત આવી રહ્યું છે.દિવસમાં ૨ સમય પાણી આવે છે, પરંતુ તે ગટર જેવું ગંદુ હોવાથી તેને ફેંકી દેવું પડે છે. લાંબા સમય સુધી નળ ચાલુ રાખીને પાણી વહાવી દીધા બાદ માંડ ૨ ડોલ જેટલું પાણી વપરાશ માટે મળે છે. અવારનવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ સુનાવણી કરવામાં આવતી નથી, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.આ ગંભીર મામલે સ્થાનિક કોર્પોરેટર દિનેશ પટણીએ નગરપાલિકાની કામગીરી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર ૯ માં આવેલા રાધનપુરી વાસ, પીપળીવાસ, દાંતલા મહોલ્લો અને હનુમાન ચકલા વિસ્તારમાં લાંબા સમયથી ગટરની લાઇન બ્લોક હોવાની સમસ્યા છે.
૭ મહિના પહેલા તંત્રએ ગટર લાઈન બદલી હતી, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. હાલમાં ભૂગર્ભ ગટર લાઈનો આડેધડ ઉભરાઈ રહી છે અને રહીશોના ઘરોમાં ગંદુ પાણી ભરાયેલું છે. GUDC, ભૂગર્ભ શાખા અને વોટર વર્ક્સ વિભાગ આ સમસ્યાના નિવારણ માટે એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે.ધાર્મિક સ્થળ પાસે ગંદકી અને શોર્ટ સર્કિટનો મોટો ખતરો કોર્પોરેટરે વધુમાં ઉમેર્યું હતું કે, મોતીસા ચોકમાં આવેલા મહાદેવ મંદિર પાસે અને જકાતનાકા નજીક છેલ્લા ૫ દિવસથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. પવિત્ર ધાર્મિક સ્થળ દુધેશ્વર મહાદેવ મંદિર પાસે જ ગટરના પાણી ભરાયા હોવાથી દર્શનાર્થીઓની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. આ ઉપરાંત, ગટરના પાણી વચ્ચે જીવતા વીજ વાયરો અડકતા હોવાથી શોર્ટ સર્કિટ થવાનો અને જાનહાનિ થવાનો મોટો ભય સેવાઈ રહ્યો છે. જો તંત્ર દ્વારા સત્વરે આ કામગીરી કરવામાં નહીં આવે અને કોઈ બાળક કે રહીશ રોગચાળાનો ભોગ બનશે, તો નગરપાલિકા અને સંબંધિત વિભાગો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું.





