યાત્રાધામ અંબાજીના વોર્ડ નંબર 8 માં ધોળા દિવસે નશામાં ધુત લુખ્ખા તત્વોએ એક સામાન્ય નાગરિકને નિશાન બનાવ્યો હતો,બાદમાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસ અને તેમની પીસીઆર વાન પર પણ લાકડીઓ અને પથ્થરો વડે હિચકારો હુમલો કર્યો હતો.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકો- યાત્રિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
લુખ્ખા તત્વોના આતંકનો ભોગ બનનાર બદારામ પંચાલે જણાવ્યું હતું કે, આ ત્રણેય બાઈ કસવાર નશાની હાલતમાં હતા. અને નીચે પડ્યા બાદ તેઓ મારી પાસે આવી બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરવા લાગ્યા. હું જેમ-તેમ કરીને તેમના ચુંગાલમાંથી છૂટ્યો અને જીવ બચાવવા નજીકના એક ઘરમાં ઘૂસી ગયો હતો.ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને કોઈકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસની પીસીઆર વાન ઘટનાસ્થળે દોડી આવી હતી. જો કે, કાયદાનો સહેજ પણ ડર ન હોય તેમ, નશામાં ધુત ત્રણેય અસામાજિક તત્વો પોલીસને જોતા જ ઉશ્કેરાઈ ગયા હતા.
તેઓએ હાથમાં રહેલી લાકડીઓ અને મોટા પથ્થરો વડે પોલીસ વાન પર હુમલો શરૂ કરી દીધો હતો. વાઈરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ તત્વો પોલીસકર્મીઓને પકડીને તેમની પર હુમલો કરી રહ્યા છે, બેફામ ગાળો ભાંડી રહ્યા છે અને પથ્થરમારો કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે.આ ગંભીર ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. પોલીસ પર હુમલો કરનારા તત્વોને પકડવા માટે પોલીસે તાત્કાલિક અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે હુમલો કરનારા 3 પૈકી 2 આરોપીની અટકાયત કરી લીધી છે અને ત્રીજા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.





