ભાદરવી પૂનમ પહેલાં માર્ગ સુધારવાની માંગ
પાલનપુર-અંબાજી હાઈવે પર ધનિયાણા ચોકડીથી શહેરમાં પ્રવેશતો મુખ્ય માર્ગ છેલ્લા એક વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક વેપારીઓ, વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ભૂગર્ભ ગટરલાઇનના કામ માટે રસ્તો ખોદવામાં આવ્યો હતો, પરંતુ કામ પૂર્ણ થયા બાદ પણ માર્ગને યોગ્ય રીતે સમતળ કે રિપેર કરવામાં ન આવતા સમગ્ર માર્ગ પર ખાડા અને ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
ધનિયાણા ચોકડીથી શહેર તરફ આવતા આ માર્ગ પર દિવસભર વાહનોની અવર જવર વચ્ચે ધૂળના વાદળો ઉડતા હોવાથી આસપાસના વેપારીઓ અને સ્થાનિકો પરેશાન છે. દુકાનોમાં માલ સામાન પર ધૂળની જાડી પરત જામી રહી છે. ધૂળના કારણે વેપારીઓના ધંધા પર પણ અસર પડી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. આ માર્ગ પાલનપુરની અનેક સોસાયટીઓ તેમજ આસપાસ ના ગામોને શહેર સાથે જોડતો મહત્વનો માર્ગ છે. તેમ છતાં છેલ્લા એક વર્ષથી રસ્તાની સમસ્યાનું નિરાકરણ ન આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. વિકાસ ના મોટા દાવાઓ વચ્ચે શહેરના મુખ્ય પ્રવેશ માર્ગની આવી સ્થિતિથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
સ્થાનિક વેપારીઓ અને રહિશો પરેશભાઈ, રસિક ભાઈ, ભીખાભાઈ અને શાંતિ ભાઈએ તંત્ર સમક્ષ તાત્કાલિક માર્ગનું સમારકામ કરાવી રસ્તાને વાહનચાલકો માટે સલામત બનાવવાની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે હવે માત્ર આશ્વાસન નહીં પરંતુ સ્થળ પર કામગીરી દેખાવી જોઈએ.





