‘જય અંબે તિથિ ભોજન’ માટે 27.50 કરોડનું દાન, દર વર્ષે 30 લાખ ભક્તોને નિઃશુલ્ક પ્રસાદ
યાત્રાધામ અંબાજીમાં આસ્થા અને વિકાસનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે. અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ પરિવારના અનંત અંબાણીના 31 મા જન્મદિવસ નિમિત્તે રિલાયન્સ દ્વારા અંબાજી શક્તિપીઠને કરોડોની ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે યાત્રાળુઓ માટે સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અનેક વિકાસલક્ષી યોજનાઓ હાથ ધરવામાં આવી રહી છે. અંબાજી વિકાસ યોજનાના ભાગરૂપે ગબ્બર કોરિડોરનું કામ પ્રગતિ પર છે અને દર વર્ષે આશરે 2 કરોડ જેટલા યાત્રાળુઓ અહીં દર્શન કરવા પહોંચે છે.
આ વધતી સંખ્યાને અનુરૂપ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે ટ્રસ્ટ દ્વારા નવા મલ્ટીપર્પજ યાત્રીનિવાસના નિર્માણની યોજના હાથ ધરવામાં આવી છે. અંદાજે 13 કરોડના ખર્ચે બનનાર આ યાત્રી નિવાસમાં 65 રૂમ, પાર્કિંગ અને ડોર્મિટરી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જેના કારણે દર વર્ષે 1 લાખથી વધુ યાત્રાળુઓને સસ્તા દરે રહેવાની વ્યવસ્થા મળી શકશે. આ પ્રોજેક્ટને વધુ ગતિ આપવા માટે રિલાયન્સ દ્વારા અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે 5 કરોડનું દાન જાહેર કરવામાં આવ્યું છે. આ સહાયથી યાત્રી નિવાસના ગ્રાઉન્ડ ફ્લોર પર આશરે 17 રૂમોનું નિર્માણ કરવામાં આવશે, જે યાત્રાળુઓ માટે મહત્વપૂર્ણ સુવિધા સાબિત થશે.
અંબાજી ખાતે ભક્તોની સુવિધા માટે ‘અંબિકા અન્નક્ષેત્ર’ પણ મહત્વપૂર્ણ બની રહ્યું છે, જ્યાં દરરોજ 7 હજારથી 8 હજાર જેટલા ભક્તોને નિઃશુલ્ક ભોજન પ્રસાદ આપવામાં આવે છે. ‘અન્નદાન એ મહાદાન’ની ભાવનાને સાકાર કરતાં રિલાયન્સ દ્વારા આગામી પાંચ વર્ષ માટે ‘જય અંબે તિથિ ભોજન’ યોજના હેઠળ 27.50 કરોડનું દાન આપવામાં આવશે, જેના દ્વારા દર વર્ષે 30 લાખથી વધુ યાત્રાળુઓને નિઃશુલ્ક ભોજનનો લાભ મળશે.
આ પ્રસંગે અનંત અંબાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતાં મા અંબાના આશીર્વાદથી તેમના દીર્ઘાયુ, આરોગ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે રિલાયન્સના આ સહયોગથી યાત્રીનિવાસ અને અન્નક્ષેત્ર બંને ક્ષેત્રોમાં લાખો શ્રદ્ધાળુઓને સીધો લાભ મળશે.





